સોમનાથ,5 ફેબ્રુઆરી (હિ.સ.) શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિ અને પ્રભારી કુલસચિવ પ્રો. લલિતકુમાર પટેલના માર્ગદર્શનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. આજે 5 ફેબ્રુઆરીના શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સાયબર ક્રાઇમ અવેરનેસ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સાયબર ક્રાઇમ અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ તરફથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્યામ રાજપુત, હેડ કોન્સ્ટેબલ તબસ્સુમ રાણીકા, કોન્સ્ટેબલ જ્યોતિ વાજા તેમજ કોન્સ્ટેબલ મોહિત મોરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં પ્રારંભે અત્રેના આચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસ્તાવિક રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્યામ રાજપૂતે સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે સમજ આપી હતી. કાર્યક્રમના અંતે ડૉ. ડી. એમ. મોકરિયાએ આભારવિધિ કરી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સત્ર સંચાલન ડૉ. પંકજ રાવલે કર્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ