ભરૂચ,05 ફેબ્રુઆરી (હિ.સ.) આજરોજ મહાસુદ આઠમ એટલે કે શ્રી ખોડિયાર જયંતી. આજરોજ 5 ફેબ્રુઆરીના રોજ શ્રી ખોડિયાર જયંતીએ મા ખોડલના પ્રાગટ્ય દિવસની રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારથી જ ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના અલૌકિક શણગાર અને અન્નકૂટના અમૂલ્ય દર્શન ભક્તોએ કર્યા હતા. મા ખોડલને વિવિધ મિઠાઈ અને ફરસાણ સહિત કુલ 56 વાનગીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આખો દિવસ ભક્તો આ અન્નકૂટના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે. ખોડિયાર જયંતી હોવાથી વહેલી સવારથી જ ભક્તો મંદિરે મા ખોડલના દર્શનાર્થે આવી રહ્યા છે અને મા ખોડલના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે સૌ ભક્તોને શ્રી ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવી હતી. શ્રી ખોડિયાર જયંતીના પાવન અવસરે મા ખોડલને વિશિષ્ટ શણગાર અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી ખોડિયાર જયંતી નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી વિમલ પાદરીયા દ્વારા ચાંદીના બાઉલમાં છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. શ્રી ખોડિયાર જયંતી નિમિત્તે સવારે મા ખોડલની આરતી બાદ ભક્તો માટે માતાજી અને અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. સાથે જ મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં મા ખોડલના પ્રાગટ્ય દિવસની શુભકામના પાઠવતી અલૌકિક વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર દિવસ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ રાસ-ગરબા રમીને મા ખોડલની આરાધના કરી શકે તે માટે પરિસરમાં રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ