સુરેન્દ્રનગર/અમદાવાદ,13 માર્ચ (હિ.સ.) સુરેન્દ્રનગર જિલ્લામાં મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ઓ.વી.શેઠ અને એમ.ઓ.શેઠ વિદ્યાલય ખેરાળી ખાતે “ગ્રાહક જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ માટે “જાગો ગ્રાહક જાગો“ વિષય ઉપર વક્તવ્ય, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 25 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ તકે મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી જે.એચ.આદેસરા દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રાહક જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય પાઠક તથા સ્ટાફ મિત્રો દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં આશરે 100 જેટલા વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓ તેમજ શાળાનાં સ્ટાફ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ