સુરત, 10 એપ્રિલ (હિ.સ.)-ભારતીય જનતા પાર્ટીના 46 મા સ્થાપના દિવસના ઉપલક્ષમાં દરેક વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે .
તે પૈકી 09 એપ્રિલના રોજ મજુરા સાથે ઉધના- સુરત ઉત્તર- કતારગામ અને કરંજ વિધાનસભામાં સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે સનમભાઈ પટેલ (બક્ષીપંચ પ્રદેશ મહામંત્રી) તથા જગદીશભાઈ પારેખ (સ્થાપના દિવસ દક્ષિણ ગુજરાત સંયોજક) ખૂબ જ સુંદર અને સરળ રીતે પાર્ટીની પ્રગતિ વિશે સમજાવ્યું હતું.
મજુરા વિધાનસભા ખાતે મુખ્ય વક્તા ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી ભરત સિંહ પરમાર દ્વારા તેમના ઉદબોધનમાં શા માટે જનસંઘની સ્થાપના કરવામાં આવી તે જણાવતા કહ્યું હતું કે કોંગ્રેસની મૂળભૂત રીતે જ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ રહી છે અને તેની સામે પંડિત દીનદયાળ દ્વારા જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી અને આગળ જતા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ તેવા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી .
તેમણે ત્યારથી લઈને આજ સુધીનો ઈતિહાસ જણાવતા જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના સુધીમાં આજ દિવસ સુધી અસંખ્ય ઘડવૈયાઓનો સિંહ ફાળો અને બલિદાન રહ્યું છે જે ક્ષણો તાજી કરી હતી અને અનેકવિધ યાદગાર કિસ્સાઓ કહ્યા હતા . આ પ્રસંગે તેઓએ કટોકટીને યાદ કરી હતી અને તેના અનુભવો પણ કહ્યા હતા .
ભારતીય જનતા પાર્ટી - ગુજરાત પ્રદેશ પ્રમુખ અને હાલ ભારત સરકારમાં જળ સંશાધન મંત્રી સી આર પાટીલ સાહેબ દ્વારા તેમના પ્રાસંગિક ઉદબોધનમાં સહુ પ્રથમ પાયાના કાર્યકર્તાઓને બિરદાવવામાં આવ્યા હતા.
તેઓએ આગળ જણાવ્યું કે સત્તાના માધ્યમથી લોકોની સેવા કરવી તેવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારત વર્ષમાં સફળતા મેળવી રહી છે .
તેઓએ જણાવ્યું કે સર્વ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી અને છેલ્લા અગિયાર વર્ષથી પ્રધાનમંત્રી તરીકે જે વિશ્વાસ નરેન્દ્રભાઈ દ્વારા લોકોમાં પેદા કરવામાં આવ્યો છે તેનું આ ફળ છે . તેઓએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મેળવી શકે છે અને જાળવી પણ શકે છે .
કોંગ્રેસ પાર્ટી પર ચાબખા મારતા તેમણે જણાવ્યું કે જેઓ ભારતીય જનતા પાર્ટી માટે કહેતા હતા કે આ પાર્ટી એક સ્કૂટર પર આવી જાય છે અને એક સમયે જેમની પાસે 400 થી અધિક સાંસદ હતા તેઓ માત્ર 44 પર આવી ગયા હતા કે જે માત્ર એક બસમાં આવી જાય .
ગુજરાત રાજ્યમાં મળેલી અભૂતપૂર્વ સફળતાનો શ્રેય તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈની સ્ટ્રેટેજીને આપ્યો હતો અને સાથે તેમણે કહ્યું કે આ સફળતા પ્રદેશ પ્રમુખ તરીકે મારી નહીં પણ આપ સહુ કાર્યકર્તાઓની છે કે જેમના વગર આ શક્ય જ ના થઈ શક્યું હોત .
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની સરકારના તમામ કામો તેમણે ગણાવ્યા હતા .તેમણે વિશેષમાં કહ્યું કે સમાજના દરેક વર્ગ યુવા , મહિલા , ખેડૂત , વિધાર્થી ,સૈનિકો , નાના નાના દુકાનદારોથી લઈ મોટા ઉદ્યોગપતિ અને વિવિધ વર્ગો માટે અસંખ્ય યોજના બનાવી છે .
તેમણે ઉજ્વલા યોજના , શૌચાલય યોજના , જનધન યોજના , મુદ્રા યોજના , આયુષ્યમાન યોજના , સુકન્યા સમૃદ્ધિ યોજનાઓનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
અંતમાં તેમણે હાલ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા કોંગ્રેસ મહાધિવેશનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જેમણે કયારે પણ સરદાર વલ્લભભાઈ પટેલને માન સન્માન નથી આપ્યું તેઓ આજે સરદાર વલ્લભાઈ પટેલને પોતાના નેતા કહેતા થાકતા નથી , જેમને ચાલીશ ચાલીશ વર્ષ સુધી ભારત રત્નનો એવોર્ડ નહોતો આપ્યો તેમને માત્ર મત માટે પોતાના કહેતા તેઓને શરમ નથી આવતી .
કાર્યકર્તાઓને અમૂલ્ય શિખામણ આપતા તેમણે જણાવ્યું કે દરેક કાર્યકર્તાઓએ હંમેશા પોતાના બુથને મજબૂત બનાવવા પ્રયત્ન કરવો જોઈએ , જો બુથ મજબુત હશે તો પાર્ટી મજબુત થશે . જળ સંચય માટે તેમણે કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું અને જે સિદ્ધિઓ જળ સંચાલય મંત્રાલય દ્વારા મેળવવામાં આવી તે વિશે જણાવ્યું હતું .
અલગ અલગ વિધાનસભાઓમાં ધારાસભ્યઓ દ્વારા તથા મુખ્ય વક્તાઓ દ્વારા પાર્ટીની શૂન્ય થી શરૂ કરી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે પ્રસ્થાપિત થવા માટેના પાર્ટીના પૂર્વજોના બલિદાન તેમજ યોગદાન વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી તથા શહેર અધ્યક્ષ પરેશભાઈ પટેલ દ્વારા મહાનગરપાલિકામાં થયેલા અવિરત વિકાસના કાર્ય વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી તથા ધારાસભ્યઓ દ્વારા ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસન બાદ ગુજરાતે જે ઊંચાઈ હાંસલ કરી અને ગુજરાત મોડલ પ્રસ્થાપિત કર્યું છે તે વિશે ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી
ઉપરોક્ત પ્રસંગે અલગ અલગ વિધાનસભાઓમાં શહેર ભાજપ મહામંત્રીઓ, સુરત મહાનગરના પદાધિકારીઓ સુરત સંગઠનના હોદ્દેદારઓ , નગરસેવકઓ , આગેવાન નેતાઓ તથા મોટા પ્રમાણમાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા .
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે