વલસાડ, 20 મે (હિ.સ.)-વિશ્વ મધમાખી દિવસની ઉજવણી વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા વલસાડ તાલુકાના ફણસવાડા ગામ ખાતે મનમોહન એપીયરીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે બાગાયત ખાતાના અધિકારીઓ તેમજ ખેડૂતોની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતી. જેમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓના 150 જેટલા ખેડૂતો અને બાગાયત ખાતાના 25 અધિકારીઓએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં સુરત વિભાગના સંયુકત બાગાયત નિયામક ડી.કે.પડાળીયા અને વલસાડના નાયબ બાગાયત નિયામક એન.એન.પટેલ હાજર રહ્યા અને બાગાયત ખાતા દ્વારા મધમાખી પાલકોને આપવામાં આવતી વિવિધ સહાય અને યોજનાઓ વિષે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીથી ડો. જે.જે.પસ્તાગીયા, ડો.અભિષેક મહેતા અને ડો.સચીનભાઈએ હાજર રહી ઉપસ્થિત ખેડૂતોને મધમાખી પાલન અંગે તાંત્રિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમના યજમાન મનમોહન બી. પટેલ, મનમોહન એપીયરી, ફણસવાડા દ્વારા ઉપસ્થિત ખેડૂતોને મધમાખીના બોક્ષ, હાઈવ અને હની એક્સટ્રેકટર જેવા મધમાખી પાલનના સાધનોનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દિનેશભાઇ સી. વેગડા નવસારી જિલ્લા હની બી કીપીંગ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમીટેડ, વાંસદા, જિ.નવસારીના ડાયરેકટર, અસ્મિતાબેન પટેલ, મધમાખી પાલક, સોલધરા, જિ.નવસારી, ભગુભાઈ, ગુજ બી, એફ.પી.ઓ., બીલીમોરા, જિ.નવસારી અને દલુભાઈ, મધમાખી પાલક, જિ. ડાંગ દ્વારા હાજર રહી ખેડૂતોને માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે