વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ‘હરિત વન’નું લોકાર્પણ
સુરત, 31 મે (હિ.સ.)-પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ સાથે કતારગામના ડભોલી ચાર રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો. તથા કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી ‘હરિત વન’નું નિર્માણ કરાયું છે. ‘એક પેડ મા કે નામ’ પહે
Surat


સુરત, 31 મે (હિ.સ.)-પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ સાથે કતારગામના ડભોલી ચાર રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો. તથા કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી ‘હરિત વન’નું નિર્માણ કરાયું છે. ‘એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ 22,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ઉભા કરાયેલા હરિતવનનું લોકાર્પણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાયું હતુ.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગયા વર્ષે ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરી 140 કરોડ દેશવાસીઓને માતાના સ્નેહને શાશ્વત કરવા માટે માતાના નામે વૃક્ષ વાવવા આહવાન કર્યું હતું. ‘માતૃસબંધ’ એ દુનિયાનો સૌથી મૂલ્યવાન સંબંધ હોય છે. માતાના સ્નેહ અને વાત્સલ્યનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી, ત્યારે આ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં ગયા વર્ષે આશરે 160 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 17 કરોડ વૃક્ષો વાવવાના લક્ષ્યને સફળતાપૂર્વક પાર કરી રાજ્યમાં કુલ 18 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

વધુમાં વનમંત્રીએ જણાવ્યું કે, કતારગામમાં જિલ્લા પંચાયતની પડતર જમીન કે જ્યાં પહેલાં કચરો નાખવામાં આવતો હતો, તેને સમથળ કરી સાફ સફાઈ થકી હરિત વનમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, આ પહેલ બદલ જિલ્લા પંચાયત, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો. તથા કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે કહ્યું કે, હરિત વનના નિર્માણથી આજુબાજુના રહેવાસીઓને શુદ્ધ અને આરોગ્યદાયક વાતાવરણ મળશે. સાથે સાથે પ્રતિદિન આશરે 26 ટન ઓક્સિજન હવામાં ફેલાશે, જે પર્યાવરણ સંરક્ષણ અને જનસુખાકારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન આર.બી. બારડ, જિ.વિકાસ અધિકારી મતિ શિવાની ગોયલ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીત, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ કમલવિજય તુલસ્યાન, SGTPAના પ્રમુખ જિતેન્દ્ર વખારીયા સહિત આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande