સુરત, 9 મે (હિ.સ.)-ભારત-પાકિસ્તાન વચ્ચે ઉદ્દભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અઠવાલાઇન્સ સ્થિત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ 24x7 ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. સેન્ટરમાં હોટલાઈન, વાયરલેસ સહિત સેટેલાઇટ ફોન તેમજ જનરેટર, ટોર્ચ લાઈટ, પાવર સપ્લાયની પૂરતી વ્યવસ્થા છે.
સુરત ડિઝાસ્ટર શાખાના નાયબ મામલતદાર સાજીદ મેરૂજયએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, નાગરિક સંરક્ષણને લગતી 12 પ્રકારની સેવાઓ માટે વિવિધ વિભાગના અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવશે. સાથે સાથે BSNL, જિયો, VI અને એરટેલ સહિતના ટેલીકમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડરના નેટવર્કનું પણ મોનિટરિંગ કરાશે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ માટે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે. ફાયરની સ્થિતિમાં આગને કાબુમાં લેવા માટે વિસ્તારવાઈઝ અધિકારીઓને જવાબદારી સોંપાશે. રેસ્ક્યુ અને શોધખોળ, બચાવ-રાહત કામગીરી માટે પણ અધિકારીઓને જવાબદારી સોંપાશે.
વધુમાં મેરૂજયએ કહ્યું હતું કે, ટ્રાન્સપોર્ટેશન સેવા (સાલવેજ સર્વિસીસ) મિલકતની સંભાળ, કાટમાળ હટાવવો, પૂરવઠા સેવા સહિતની સેવાઓનું આયોજન અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડિસ્ટ્રીક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સેટેલાઈટ ફોન પણ કાર્યરત છે. 12 જેટલી સેવાઓ માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરાશે. આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોચી વળવા તમામ સવલતોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
સેન્ટર ખાતે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ફોન નં. 0261-2663200, 2663600, ડિઝાસ્ટર ટોલ ફ્રી હેલ્પલાઇન નં.1077 તેમજ શહેર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં. 0261-2241301, 2, 3 અને ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમના ફોન નં.0261- 2651840 પર સંપર્ક કરી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે