પાટણ, 14 જૂન (હિ.સ.) : સરસ્વતી તાલુકાના કાનોસણ ગામની સેવા સહકારી મંડળીમાં રૂ. 2.47 કરોડના ઉચાપત કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. આ કેસમાં વાગડોદ પોલીસે 35 વર્ષીય મનુજીને ઝડપી પાડ્યો હતો. પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન પી. જોશીએ મનુજીની જામીન અરજી નામંજૂર કરી હતી. કોર્ટે જણાવી હતું કે તપાસ હજી બાકી છે અને આરોપી જામીન પર છોડવામાં આવે તો પુરાવાઓ સાથે ચેડાં થવાની શક્યતા છે.
કેસની વિગતો મુજબ, 6 ફેબ્રુઆરી 2024ના રોજ મહેસાણા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકના વિભાગીય ઇન્સ્પેક્ટર ગૌરાંગ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી. જેમાં 66 સભાસદો અને 7 હોદ્દેદારો સહિત કુલ 73 લોકો વિરુદ્ધ આરોપ મૂકવામાં આવ્યા હતા કે તેમણે ખોટા દસ્તાવેજો આધારે લોન મેળવી હતી.
આ લોન 4 જાન્યુઆરી 2018થી 17 જૂન 2021 વચ્ચે સભાસદોના નામે કે તેમની જમીનના આધાર પર લેવામાં આવી હતી. આરોપીઓએ લોનનું વ્યાજ અને મુદ્દલ બેંકને ચુકવ્યું નથી. જોકે પોલીસના રિપોર્ટમાં મનુજી વિરુદ્ધ અગાઉ કોઈ ગુનાનો ઇતિહાસ ન હોવા છતાં, ગુનાની ગંભીરતા અને ટ્રાયલ દરમ્યાન તેની હાજરીની અનિશ્ચિતતા ધ્યાને લઈને કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર