ગાંધીનગર, 14 જૂન (હિ.સ.) : અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ ખાતે ચાલી રહેલા રાહત તથા બચાવ કાર્યમાં ગત રાત્રી દરમ્યાન પણ મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી નિરંતર ચાલુ રાખી હતી
વિમાન દુર્ઘટના ઘટના સ્થળે રાત્રિ દરમિયાન અવિરત પણે કામગીરી ચાલુ રહે તે માટે લાઈટ વિભાગના એડી. ચીફ એન્જિનિયર , ડે. સીટી એન્જિનિયર, ૨ આસી. સીટી એન્જિનિયર, 2 આસી. એન્જિનિયર, 4 ટી.એસ. એમ કુલ 10 અધિકારી તથા કર્મચારીઓ જોડાઈ ગયા હતા. લાઈટ વિભાગ દ્વારા 125 કે.વી.ના ૫ નંગ ડીજી સેટ, 200 વોટની અંદાજીત 100 નંગ એલ.ઈ.ડી. ફ્લડ લાઈટ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી.
વધુમાં, 13 જૂન 2025ના રોજ અ.મ્યુ.કો.ના કુલ 15 જેસીબી, 5 એક્સકેવેટર, 25 ટ્રક, 1 રોલર, 2 હેવી ક્રેન તેમજ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના 7 અધિકારી, 16 સ્ટાફ, 1 ચીફ ફાયર ઓફિસર, 1 એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 1 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, 1 ડીવીઝનલ ફાયર ઓફિસર, 3 સ્ટેશન ઓફિસર, 16 ફાયરમેન અને 4 સ્ટેન્ડબાય ફાયર વિહિકલ સાથે રાખીને વધુ કામગીરી હાથ ધરી છે.
એરક્રાફ્ટ એકસીડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને આજરોજ બ્લેક બોક્સની શોધખોળ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 40 મજુર, 10 એન્જિનિયર તથા 3 એડિશનલ સીટી એન્જિનિયર પૂરા પાડવામાં આવ્યા હતા, જે ટીમ દ્વારા બ્લેક બોક્સને સફળતાપૂર્વક શોધી કાઢેલ છે.
અકસ્માતના સ્થળ ઉપર હાઈજીન જળવાઈ રહે તે માટે હેલ્થ અને સેનિટેશન તથા સીએનસીડી વિભાગની ટીમો કાર્યરત કરેલ છે.
બિલ્ડીંગ ઉપર ફસાઈ ગયેલ એરક્રાફ્ટની ટેઈલ ઉતારવાની કામગીરી માટે કોર્પોરેશન દ્વારા બે નંગ હેવી ડ્યુટી ક્રેન તથા તાંત્રિક ટીમની વ્યવસ્થા પણ કરેલ છે જે કામગીરી બજાવી રહેલ છે.
કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં સાત મોબાઈલ મેડિકલ વાન તથા 100 થી વધારે મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ હાજર રાખી રાહત અને બચાવવાની કામગીરી કરવામાં આવેલ છે.
સ્મશાન ગૃહ વિભાગ દ્વારા 40થી વધારે કર્મચારી ફાળવી ને મૃત્યુ પામેલ વ્યક્તિને પોસ્ટ મોર્ટમ રૂમ સુધી પહોંચાડવા ની કામગીરી બજાવી રહેલ છે.
સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ તથા ડીએનએ ટેસ્ટને લગતી કામગીરીમાં મદદરૂપ થવા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તથા એનએચએલ મ્યુની મેડિકલ કોલેજના પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર ટ્યુટર કક્ષાના ડોક્ટરોની ટીમ ફાળવી પોસ્ટમોર્ટમ તથા ડીએનએ ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહેલ છે.
જે પ્રવાસીઓ સ્ટુડન્ટ તથા નાગરિકજનો મૃત્યુ પામેલ છે તેઓના જરૂરી પરીક્ષણ બાદ જે તે સ્થળે સ્થળાંતર કરવા જરૂરી એમ્બ્યુલન્સ તથા વાહનની સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે.
મૃત્યુ પામેલ વ્યક્તિઓના મરણ સર્ટિફિકેટ સરળતાથી મળી રહે તે બાબતે જે તે મ્યુનિ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગના કર્મચારીના સંપર્કમાં રહી મરણ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની કામગીરીની વ્યવસ્થા કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ