પાટણ, 14 જૂન (હિ.સ.) : પાટણ એસઓજી શાખાએ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેકટર જે.જી. સોલંકીની ટીમ દ્વારા અમલમાં મૂકાઈ હતી.
પકડાયેલી મહિલાઓમાં તસ્કુરાનાખાતુન (31), પોલીબેગમ (40) અને સામસુન્નાહાર (35)નો સમાવેશ થાય છે. તપાસમાં ખુલ્યું હતું કે તેઓ પાસે ન તો પાસપોર્ટ છે અને ન તો કાયદેસર વિઝા. તસ્કુરાનાખાતુન જાન્યુઆરી 2024માં સુનાબેરી બોર્ડરથી, સામસુન્નાહાર 10 માર્ચ 2024ના રોજ બેનાફુલ બોર્ડરથી અને પોલીબેગમ પાંચ વર્ષ પહેલાં બેનાફુલ બોર્ડરથી ભારતમાં આવી હતી.
ત્રણે મહિલાઓ હાવડા થઈને અમદાવાદ આવી હતી અને મજૂરી માટે પાટણ પહોંચી હતી. પોલીબેગમ પહેલા અમદાવાદના વટવામાં રહેતી હતી અને છેલ્લાં એક વર્ષથી સુરતમાં રહી રહી હતી, જ્યારે સામસુન્નાહાર ગોતા વિસ્તારમાં રહેતી હતી. હવે તેમની સામે ફોરેનર્સ એક્ટ, 1946 હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કાર્યવાહી રાજ્ય સરકારની ગેરકાયદેસર વિદેશી નાગરિકો વિરુદ્ધની ઝુંબેશનો ભાગ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર