ગાંધીનગર, 30 જૂન (હિ.સ.) : લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે સરકાર દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર મેહુલ કે.દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે.દવેએ જણાવ્યું હતું કે, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો સ્વાગત' કાર્યક્રમ અમલી બનાવ્યો છે. સ્વાગત કાર્યક્રમમાં અરજદાર દ્વારા રજૂ થતી સમસ્યાને ગંભીરતાથી લઈને તેના યોગ્ય ઉકેલ માટે કલેકટરએ સંબંધિત અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, નિયમો અનુસાર અરજદારોના પ્રશ્નો અંગે જેટલો બને તેટલો ઝડપી નિકાલ અથવા જરૂર જણાયે યોગ્ય લેખીત જવાબ કરવો.જેથી અરજદારો ને સમયસર ન્યાય મળે અથવા યોગ્ય દિશા આપી શકાય.
ગાંધીનગર જિલ્લાના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કલેકટરએ લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કર્યું હતું. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જમીન માલિકી ના પ્રશ્નો, લારી ગલ્લાના ગેરકાયદે દબાણ, રહેણાંક વિસ્તારમાં જોખમી બાંધકામ જેવા 14 પ્રશ્નોનો સમાવેશ કરાયો હતો. રજૂ થયેલા તમામ પ્રશ્નોનો પૈકી 13 પ્રશ્નનું સ્થળ પર જ હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે કેટલાક પ્રશ્નો સ્વાગત માં આવ્યા પહેલા જ હકારાત્મક કામગીરી દ્વારા નિકાલ કરી દેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે જૂન મહિના દરમિયાન યોજાયેલ સ્વાગત બેઠક અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલ, નિવાસી અધિક કલેકટર નિશા શર્મા, જમીન સંપાદન અધિકારી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત ગાંધીનગર, પાર્થ કોટડીયા, મામલતદાર ગાંધીનગર, મહેશ ગોહેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ