ગાંધીનગર, 30 જૂન (હિ.સ.) : ગાંધીનગર ટાઉનહોલ ખાતે નૃત્યમ કલા સંસ્થાન ચલાવતા કલાગુરૂ વ્યોમા પટેલની બે શિષ્યાઓ ધારિણી જોશી અને સ્વરા પ્રજાપતિએ ભરતનાટ્યમના આરંગેત્રમ્ પ્રસ્તુતિ સાથે મંચ પદાર્પણ કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, આઈએએસ ડૉ. જયંતી રવિ, ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ સંજય થોરાત ‘સ્વજન’ અને કલાગુરૂ વ્યોમા પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જયંતી રવિએ એમના વક્તવ્યમાં શાસ્ત્રીય સંગીત એ મનોરંજન નથી એ સાધના છે એમ કહીને ‘આનંદમયી’ ભજન પ્રસ્તુત કર્યું હતું. રીટાબેન પટેલે આરંગેત્રમ્ સાધના કરી, સાતમા વર્ષે મંચ પદાર્પણ માટે ધારિણી અને સ્વરાને શુભકામનાઓ પાઠવી હતી.
આ કર્ણાટકી સંગીત શૈલીમાં વિજ્ઞ રાજમ ભજે, અલ્લારીપુ, જાતિસ્વરમ, મહાલક્ષ્મી અષ્ટકમ, વર્ણમ, રામાયણ નામ, ભો શંભો, મહાસંગ્રામ, થીલ્લાના, મંગલમ જેવી પ્રસ્તુતિ કરી હતી જેના પર આ બન્ને દીકરીઓએ પ્રસ્તુતિ કરી હતી. આ કાર્યક્રમમાં નટુવંગમ - ગુરુ શ્રીમતી વ્યોમા પટેલ, વોકલ - રામકુમાર મારર, મૃદંગમ – દિનેશકુમાર, વાયોલિન - હેમંત સાધુ, વાંસળી - નિખિલ શર્મા પ્રસ્તુતિ કરી હતી જ્યારે રસાળ સંચાલન પાર્થિવ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.
ભરતનાટ્યમ ગુરુ વ્યોમા પાર્થ પટેલ ગુરુ ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ પોતાનું અરંગેત્રમ પૂર્ણ કર્યું, કલા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે તેમણે ગુરુ મેઘાબેન ઠાકર પાસેથી નૃત્યમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. શાસ્ત્રીય તાલીમ ઉપરાંત. વ્યોમા પટેલ રાષ્ટ્રીય સ્તરના લોક કલાકાર છે, જેમણે રાષ્ટ્રપતિ ભવન, રણ ઉત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રી અને વિવિધ રાજ્ય અને રાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર પ્રદર્શન કર્યું છે. તેમને ઘણી સરકારી અને ખાનગી સંસ્થાની સ્પર્ધામાં જજ તરીકે પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
શાસ્ત્રીય નૃત્યને પ્રોત્સાહન આપવા અને સંવર્ધન કરવાના વિઝન સાથે, તેમણે નૃત્યમ કલા સંસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરી, જેના દ્વારા તેઓ મહત્વાકાંક્ષી નૃત્યકારોને તાલીમ અને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. અત્યાર સુધી અનેક વિદ્યાર્થીની એમના હાથ નીચે તાલીમ લઈ ભરતનાટ્યમ શીખી છે.
ટાઉનહોલ ખાતે આયોજિત આરંગેત્રમ્ કાર્યક્રમમાં આ વખતે ધાર્મિક અને મુદિતા જોષીની દીકરી ધારિણી જોષી અને ધર્મેશ અને રેખા પ્રજાપતિની દીકરી સ્વરા પ્રજાપતિએ વ્યોમા પટેલના માર્ગદર્શન હેઠળ વૈવિધ્યસભર પ્રસ્તુતિ કરી હતી. ધારિણીએ પાંચ વર્ષની ઉંમરે નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું જ્યારે સ્વરાએ સાત વર્ષે તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. સ્વરાએ મોઢેરા સૂર્ય મંદિર, IPL ઉદઘાટન સમારોહ, ગણેશ ઉત્સવ, સાયન્સ સિટી જેવા કાર્યક્રમોમાં પણ પ્રદર્શન કર્યું છે. વિશ્વ સંગીત દિવસે આ બન્ને દીકરીઓ ભરતનાટ્યમ દ્વારા મંચ પદાર્પણ કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ