ગાંધીનગર, 7 જૂન (હિ.સ.) : અમદાવાદ જીલ્લામાં 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા 2025' અંતર્ગત સાણંદ તાલુકાના ચેખલા ગામમાં ખેડૂત શિબિર યોજવામાં આવી હતી.
આ ખેડૂત શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજનાં વૈજ્ઞાનિક ડૉ. કે. ડી. ગુલકરીએ ખેતી પાકોની વૈજ્ઞાનિક ખેતી વિષયે સર્વે ખેડૂત ભાઈઓ અને બહેનોને માહિતી આપી હતી, તેમજ કૃષિના અધતન સંશોધનો અપનાવવા સર્વે ખેડૂત ભાઈઓ અને બહેનોને આહ્વાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ કેન્દ્રના બાગાયત અધિકારી શ્રીમતિ રીધ્ધીબહેન પટેલે કેન્દ્ર અને ગુજરાત સરકારની ખેડૂતલક્ષી જુદી-જુદી યોજનાઓ બાબતે સર્વે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
વધુમાં, આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અરણેજનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. બી. એચ. પંચાલે બાગાયતી પાકોની ખેતી વિષયે ખેડૂતોને માહિતી આપી હતી. ડૉ. એન. આર. બુમ્બડીયાએ પ્રાકૃતિક કૃષિના મહત્વ અને ખાતર વ્યવસ્થાપન વિષે ઉદબોધન કર્યું હતું. પ્રગતિશીલ ખેડુત શ્રી કાશીરામભાઈ વાઘેલાએ પોતાનાં પ્રાકૃતિક કૃષિના અનુભવો વિશેની વાત સર્વે ખેડૂત ભાઈઓ અને બહેનો સાથે કરી હતી. ડૉ. સમાધાન બાગુલ, વરિષ્ઠ વૈજ્ઞાનિકે ઔષધિય અને સુગંધિત પાકોની વૈજ્ઞાનિક ખેતી વિષે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં સાણંદ તાલુકાના આત્મા, અમદાવાદ, ખેતીવાડી વિભાગ અને બાગાયત વિભાગનાં અધિકારીઓ તેમજ ભવાનપુર, તેલાવ, સોયલા અને કોલાટ ગામના 450 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ