પાટણ, 8 જૂન (હિ.સ.) : પાટણના શૈલજ બંગલોઝની સામેના મેદાન, અંબાજી નેળીયું ખાતે 8 જૂન, 2025ના રોજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025ની ઉજવણીનો ભાગ છે, જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત યોજાઈ રહી છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલે જણાવ્યું હતું કે, આ યોગ શિબિરનો મુખ્ય હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો છે. તેઓએ જણાવ્યું કે નવી પેઢીમાં યોગ અંગે જાગૃતિ લાવવી અને લોકોને યોગ તરફ પ્રેરિત કરવાનું લક્ષ્ય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી 21 જૂન વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાત રાજ્યમાં રમતગમત વિભાગ હેઠળ યોગના પ્રસાર માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર