નવી દિલ્હી, ૦1 જુલાઈ (હિ.સ.)
કેન્દ્ર સરકારે રોજગાર નિર્માણ, કૌશલ્ય વિકાસ અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાના
ઉદ્દેશ્યથી 'રોજગાર સાથે
જોડાયેલ પ્રોત્સાહન (ઈએલઆઈ)
યોજના'ને મંજૂરી આપી
છે. આ યોજના ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ
અંતર્ગત, નોકરીદાતાઓ અને
પહેલી વાર નોકરી શોધનારાઓને નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, બુધવારે યોજાયેલી,
કેબિનેટ બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી
અશ્વિની વૈષ્ણવે, પત્રકાર પરિષદમાં કેબિનેટના નિર્ણયોની માહિતી આપી હતી. આ યોજનાનો
ઉદ્દેશ આગામી બે વર્ષમાં દેશમાં 3.5 કરોડથી વધુ નોકરીઓનું સર્જન કરવાને પ્રોત્સાહન આપવાનો છે.
આ માટે 99,446 કરોડ રૂપિયાની
જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના સાથે સંકળાયેલ લાભ 1 ઓગસ્ટ 2૦25 થી 31 જુલાઈ 2૦27ની
વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર ઉપલબ્ધ થશે. પહેલી વાર નોકરી મેળવનારા કર્મચારીઓને બે
હપ્તામાં પ્રોત્સાહન તરીકે એક મહિનાના ઇપીએફ પગાર જેટલા મહત્તમ 15,૦૦૦ રૂપિયા
આપવામાં આવશે.
પહેલો હપ્તો છ મહિનાની સેવા પછી અને બીજો હપ્તો બાર મહિનાની
સેવા પછી આપવામાં આવશે. આ યોજનાનો લાભ લગભગ 1.92 કરોડ પહેલી વાર નોકરી શોધનારાઓને
મળશે. તે જ સમયે, નોકરીદાતાઓને એવા
કર્મચારીઓ માટે પ્રોત્સાહન મળશે, જેમનો માસિક પગાર 1 લાખ રૂપિયા સુધીનો છે. દરેક
વધારાના કર્મચારી (ઓછામાં ઓછા છ મહિના માટે કાર્યરત) માટે, બે વર્ષ માટે દર
મહિને ૩ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. આ પ્રોત્સાહન ઉત્પાદન ક્ષેત્રમાં ત્રીજા
અને ચોથા વર્ષ માટે ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ