મહેસાણા, 6 સપ્ટેમ્બર (હિ.સ.)દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. વધુને વધુ ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહિત કરવા ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સતત પ્રયાસરત છે. તેમના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લાના વિસનગર એ.પી.એમ.સી.ના અધ્યક્ષ પ્રિતેશભાઈ પટેલ સહિત 13 સભ્યોનું પ્રતિનિધિમંડળ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના ગુરુકુળ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાતે ગયું.
આ અભ્યાસ પ્રવાસનો મુખ્ય હેતુ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને નજીકથી સમજવો અને હરિયાણા રાજ્યની કૃષિ બજાર વ્યવસ્થાનું પ્રત્યક્ષ અવલોકન કરવાનો હતો. ગુરુકુળ ખાતે રાજ્યપાલશ્રીએ પ્રતિનિધિમંડળને સંબોધતા કહ્યું કે, “પ્રાકૃતિક ખેતી માત્ર પદ્ધતિ નહીં, પરંતુ ખેડૂતો, સમાજ અને ભાવિ પેઢીઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટેનું અભિયાન છે.” તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ એક વ્યાપક જન આંદોલનનું સ્વરૂપ લઈ ચૂક્યું છે અને આ અભ્યાસ પ્રવાસ રાજ્યની બજાર વ્યવસ્થા તેમજ ટકાઉ ખેતીને વધુ ગતિ આપશે.
રાજ્યપાલશ્રીએ ખાસ ભાર મૂક્યો કે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે મજબૂત બજાર વ્યવસ્થા ઉભી કરવી અગત્યની છે, કારણ કે તે ખેડૂતોની આજીવિકા મજબૂત બનાવવા માટે કડીરૂપ છે. પ્રતિનિધિમંડળે રાજ્યપાલશ્રીના માર્ગદર્શનને પ્રેરણાદાયક ગણાવી ખાતરી આપી કે, આ અભ્યાસ પ્રવાસમાંથી મળેલ તારણોને ગુજરાતની કૃષિ બજાર વ્યવસ્થામાં અમલમાં મુકવામાં આ
વશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR