
ગીર સોમનાથ, 16 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.૨૦ અને તા.૨૧ જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તા.૨૦ના રોજ રાજ્યપાલ વેરાવળ ખાતે આવેલી સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પદવિદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
રાજ્યપાલ પદવિદાન સમારોહ બાદ તાલાલા તાલુકાના ઉમરેઠી ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કરવા સાથે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ને સંબોધશે.
રાજ્યપાલ ગામમાં જ રાત્રિ રોકાણ કરી ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં સહભાગી થશે અને તા.૨૧મીના રોજ ઉમરેઠી ગામમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવા સાથે વૃક્ષારોપણ પણ કરશે.
રાજ્યપાલશની સોમનાથ મુલાકાત અન્વયે કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. જેમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે સભાસ્થળ સહિત કાર્યક્રમોનું સુચારૂ આયોજન થાય એ માટે ખેતીવાડી, બાગાયત, પી.જી.વી.સી.એલ સહિતના જિલ્લાના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ