
અમરેલી, 07 જાન્યુઆરી (હિ.સ.) ચલાલાના ધારગણી ગામે પોલીસ અધિક્ષક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ગામના સરપંચ તેમજ ગ્રામજનો સાથે બેઠક યોજી સીસીટીવી કેમેરા સ્થાપનાથી ગામની સુરક્ષામાં થનારા ફાયદાઓ અંગે વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો હતો. મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો અને લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ગામમાં વ્યૂહાત્મક સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો ચોરી, તોડફોડ, માર્ગ અકસ્માત અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવી શકાય છે. સીસીટીવીના માધ્યમથી ઘટના સમયે તાત્કાલિક પુરાવા મળી રહેતા ગુનાહિત તત્વોને ઝડપી પકડવામાં મદદ મળે છે, તેમજ નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધે છે.
બેઠક દરમિયાન સરપંચ અને ગ્રામજનોએ ગામની વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ, સંવેદનશીલ વિસ્તારો અને સીસીટીવી સ્થાપનાની શક્યતાઓ અંગે પોતાના સૂચનો રજૂ કર્યા. પોલીસ વિભાગ તરફથી ટેકનિકલ માર્ગદર્શન, જાળવણી અને સહકાર અંગે માહિતી આપવામાં આવી.
આ પ્રસંગે ગુજરાત પોલીસ દ્વારા સમુદાય આધારિત પોલીસિંગ પર ભાર મૂકવામાં આવ્યો અને નાગરિકોને પોલીસ સાથે સતત સહયોગ રાખવા અપીલ કરવામાં આવી. મુલાકાતથી ગ્રામજનોમાં સુરક્ષા અંગે વિશ્વાસ અને સકારાત્મક સંદેશો પહોંચ્યો હોવાનું જણાયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai