
મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) વિજાપુર ખાતે BLIND PEOPLE’S ASSOCIATION (India) અને રામબાગ રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ, વિજાપુર દ્વારા દિવ્યાંગ બાળકો માટેના પુનર્વસન કેન્દ્રનો ઉદ્ઘાટન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય સી જે ચાવડા સહિત અનેક આગેવાનો, ટ્રસ્ટીઓ, દાતાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ બાળકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે આવા કેન્દ્રો અત્યંત મહત્વપૂર્ણ છે. આ પુનર્વસન કેન્દ્ર દ્વારા બાળકોને શિક્ષણ, સારવાર, માર્ગદર્શન તથા વિવિધ થેરાપી સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ થશે. સાથે જ તેઓમાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવના વિકસે તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
સાંસદ હરિ પટેલે સેવા કાર્ય સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટીઓ, કાર્યકરો અને દાતાઓને હાર્દિક અભિનંદન પાઠવી આ પહેલને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. ધારાસભ્ય સી જે ચાવડાએ પણ ટ્રસ્ટની કામગીરીને વખાણી ભવિષ્યમાં તમામ જરૂરી સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી અને કેન્દ્રની કામગીરીને વધાવી લીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR