
વલસાડ, 04 ફેબ્રુઆરી (હિ.સ.) વલસાડ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક તા. 3 ફેબ્રુઆરીને મંગળવારે જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં પરીક્ષાલક્ષી આયોજનની તૈયારી અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજે એલ. ટંડેલ દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર એસ.એસ.સી. ધો- 10 તથા એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ – પ્રાયોગિક/મુખ્ય અને સામાન્ય પ્રવાહ)ની પ્રાયોગિક પરીક્ષાઓ તા.05/02/2026 થી તા.16/02/2026 દરમ્યાન તથા મુખ્ય (થિયરી) પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા.18/03/2026 દરમ્યાન વલસાડ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે.
બેઠક દરમિયાન પરીક્ષા સંબંધિત તૈયારીઓની રૂપરેખા, વિદ્યાર્થી સંખ્યા, પરીક્ષા કેન્દ્રોની સંખ્યા તથા બ્લોક વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર હવા-ઉજાસવાળા વર્ગખંડો, લાઈટ, પંખા, પીવાના પાણી સહિતની ભૌતિક સગવડો સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત તમામ પરીક્ષા સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા વ્યવસ્થા કાર્યરત હાલતમાં રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 મુજબ CRPC કલમ-163 અન્વયે પરીક્ષા કેન્દ્રો તથા ઝોનલ કચેરીઓના સંબંધિત વિસ્તારોમાં કલમ-144 અમલમાં મૂકવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ-1/2 ના અધિકારીઓની નિમણૂક, તેમજ ઝોનલ અધિકારીઓ, સરકારી પ્રતિનિધિઓ, કંટ્રોલ રૂમ સ્ટાફ, સ્થળ સંચાલકો અને પરીક્ષા બિલ્ડિંગના તમામ સ્ટાફની નિમણૂક અંગે આયોજન કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો તથા ઝોનલ કચેરીઓ પર સલામતી વ્યવસ્થા તેમજ પ્રશ્નપત્રો લાવવા અને લખાયેલી ઉત્તરવહીઓ લઈ જવા પૂરતા પોલીસ બંદોબસ્ત અંગે જિલ્લા પોલીસ અધિક્ષક, વલસાડ સાથે સંકલન કરવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો ચાલુ રહે તે માટે આયોજન, વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસોની વ્યવસ્થા તેમજ દરેક પરીક્ષા બિલ્ડિંગ પર આરોગ્ય ટીમ કાર્યરત રાખવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સાથે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રોના લોકેશન દર્શાવતા QR કોડ સાથેની પુસ્તિકાનું અનાવરણ કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું, જેથી પરીક્ષાર્થીઓ સરળતાથી પોતાના પરીક્ષા કેન્દ્રના સ્થળનો QR કોડથી લોકેશન મેળવી શકશે. આ ક્યુઆર કોડ દરેક શાળાના નોટીસ બોર્ડ ઉપર પણ લગાવામાં આવશે. વિદ્યાર્થીઓ પરીક્ષાને લઇ તણાવ ન અનુભવે અને વિદ્યાર્થીને પરીક્ષા સંબધિત પ્રશ્નોના નિરાકરણ મળી રહે તે માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવેલી છે. જેની માહિતી દરેક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચતી કરવામાં આવી છે.
બેઠક અંતે કલેક્ટર ભવ્ય વર્માએ તમામ સંબંધિત વિભાગોને પરીક્ષાઓ સુચારુ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે સંકલિત કામગીરી કરવા સૂચના આપી હતી. આ બેઠકમાં ડાયેટના પ્રાચાર્ય, મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા, જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે. સિંગ, તેમજ અન્ય અધિકારીઓ અને વિવિધ સંઘોના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે