


- મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરથી રાજ્યના દિવ્યાંગજનોનું રોજિંદુ જીવન વધુ સરળ અને સુગમ બનશે
- 5676 દિવ્યાંગ લાભાર્થીઓને કુલ 36 કરોડની મોટરાઇઝ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, 13 માર્ચ (હિ.સ.) : દિવ્યાંગજનો પોતાના રોજિંદા કામકાજ સરળતાથી કરી શકે તેમજ તેમને એક સ્થળેથી બીજા સ્થળે અવરજવરમાં સુગમતા રહે તેવા દિવ્યાંગ હિત અભિગમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે દિવ્યાંગજનો માટે મોટરાઈઝ્ડ ટ્રાઇસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજના શરૂ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 34 જિલ્લાઓના 4000 દિવ્યાંગજનોને પ્રથમ વખત મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ તથા 1676 દિવ્યાંગોને જોયસ્ટિક વ્હીલચેર એમ કુલ 36.7 કરોડ રૂપિયાના સાધન સહાયનું પ્રતિકરૂપે ગાંધીનગરમાં શુક્રવારે વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીની પ્રેરણાથી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં 60 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.
તદ્અનુસાર, આ સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પ્રતિકરૂપે 40 જેટલા દિવ્યાંગોને આ મોટરાઇઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર અર્પણ કરી તે અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, રાજ્ય મંત્રી ડૉ. મનીષા વકીલ, મુખ્ય સચિવ એમ.કે.દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ લાભાર્થીઓ સાથે લાગણી સભર સંવાદ કરીને તેમના જીવનમાં આ સાધન સહાયથી આવનારા પરિવર્તન અને સુગમતા વિશે વાતચીત કરી હતી.
આ યોજના કાર્યરત થતાં પહેલા દિવ્યાંગ સાધન સહાય યોજના અન્વયે હાથથી ચલાવી શકાય તેવી સાદી ટ્રાઈસિકલ અને વ્હીલચેર આપવામાં આવી હતી. આના પરિણામે દિવ્યાંગ જનોને વધારે શારીરિક શ્રમ કરવો પડતો હતો અને દુર સુધી જવા આવવામાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગ જનોની આ વેદના સમજીને તેમાંથી તેમને મૂક્તિ અપાવવાના કરેલા સંવેદનશીલ નિર્ણયના પરિણામે દિવ્યાંગ લાભાર્થીઓને હવે મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેર આપવામાં આવશે.
દિવ્યાંગ લાભાર્થીઓને આ નવા સાધન મળવાથી ટ્રાઈસિકલ અને વ્હીલચેર હાથથી ચલાવવામાંથી મુક્તિ મળશે અને તેઓની રોજબરોજની દૈનિક ક્રિયામાં તથા પોતાના કાર્યસ્થળે પહોચવામાં ખૂબ જ સરળતા થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવ્યાંગજનોની સુગમતા માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લઈને દિવ્યાંગોને જોયસ્ટિક વ્હીલચેર આપવાની યોજનામાં પણ સહાયનું ધોરણ 2026-27ના આ વર્ષથી વધારવાના દિશા નિર્દેશો આપ્યા છે
લોકોમોટોર ડિસેબિલિટી સેરેબલ પાલ્સી અને મસ્ક્યુલર ડ્રીસ્ટ્રોફી મલ્ટીપલ ડિસેબિલિટી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અવર-જવર કરવામાં સુગમતા રહે અને મુસાફરી દરમિયાન પણ જોયસ્ટિક વ્હીલચેર સાથે રાખી શકે તે હેતુસર સાદી જોયસ્ટિક વ્હીલચેરના સ્થાને હવે ફોલ્ડીંગ જોયસ્ટિક વ્હીલચેર માટે સહાયની રકમમાં વધારો કરીને 1.10 લાખ કરવામાં આવી છે. એટલું જ નહિ, મસ્ક્યુલર ડ્રીસ્ટ્રોફી પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીની સહાય લાભ મેળવવાની પાત્રતા વય મર્યાદા 18 વર્ષથી ઘટાડીને 10 વર્ષ કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે
તેમણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને લાભાર્થી સહાય માટે સેચ્યુરેશન એપ્રોચ અપનાવીને એક પણ જરૂરતમંદ દિવ્યાંગ લાભાર્થીઓ રાજ્ય સરકારની સાધન સહાયથી વંચિત ન રહે તે માટે પણ સૂચનાઓ આપી છે.
દિવ્યાંગજનો માટેના આ સહાયક સાધનો ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ALIMCO દ્વારા બનાવવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં આ સાધન સહાય વિતરણ વેળાએ સામાજિક અને ન્યાય અધિકારીતા સચિવ ડૉ. હર્ષદ પટેલ, સમાજ સુરક્ષા નિયામક વિક્રમ જાદવ તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને દિવ્યાંગ લાભાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ