
પાટણ, 23 માર્ચ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ગામે આજરોજ વહાણવટી સિકોતર માતાજી અને સધી માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો. મહોત્સવને કારણે ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો અને આસપાસના વિસ્તારોમાંથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત કોંગ્રેસના અગ્રણીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા અને પંથકની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
કાર્યક્રમ દરમિયાન દશરથભાઈ આઈ. પટેલ અને બિપીનભાઈ દવે સહિત અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા. નાગવાસણ ગ્રામજનો દ્વારા તમામ મહેમાનોનું શાલ અને ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ