
મહેસાણા, 24 માર્ચ (હિ.સ.) મહેસાણા શહેરમાં ઈંધણની અછત અંગે ફેલાયેલી અફવાએ ગતરોજ ભારે ગભરાટ ફેલાવ્યો હતો. અછતના ભયને કારણે વાહનચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા, જેના કારણે સામાન્ય રીતે બે દિવસ ચાલે એટલો સ્ટોક માત્ર થોડા કલાકોમાં જ ખાલી થઈ ગયો હતો.
બપોર બાદ શહેરના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. લોકો અગમચેતીના ભાગરૂપે ટાંકી ફૂલ કરાવવા લાગતા ઈંધણનો જથ્થો ઝડપથી ઘટ્યો હતો. ખાસ કરીને ડી માર્ટ નજીક આવેલા પેટ્રોલ પંપ પર માત્ર 2 કલાકમાં જ અંદાજે 3500 લિટર ડીઝલ વેચાઈ જતાં સંચાલકો પણ ચકિત થઈ ગયા હતા.
વધેલા ધસારાને કારણે સાંજ સુધીમાં અનેક પેટ્રોલ પંપો ‘ડ્રાય’ થઈ ગયા હતા. ‘પેટ્રોલ નથી’ના બોર્ડ જોવા મળતાં વાહનચાલકો એક પંપથી બીજા પંપે ભટકતા જોવા મળ્યા હતા.
HP પેટ્રોલ પંપના મેનેજર મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અચાનક વધેલી માંગને કારણે સ્ટોક ઝડપથી પૂર્ણ થયો છે, પરંતુ નવું 20000 લિટરનું ટેન્કર ટૂંક સમયમાં પહોંચશે. તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહી જરૂર મુજબ જ ઈંધણ ભરાવવાની અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR