
સુરત, 24 માર્ચ (હિ.સ.) સુરતના લાલગેટ નજીક આવેલા હોડી બંગલા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 22 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન સમાપ્ત કર્યું. આ ઘટના ત્યારે બની જ્યારે તેમની માત્ર આઠ મહિનાની પુત્રી ઘરમાં હાજર હતી, જેને કારણે આસપાસના વિસ્તારમાં ભારે દુઃખ અને ચકચાર ફેલાઈ છે.
માહિતી અનુસાર, મહિલાના પતિ કતારગામ વિસ્તારમાં ચિકન વેચાણનો ધંધો કરે છે અને ઘટનાના સમયે તેઓ દુકાન પર ગયા હતા. આ દરમિયાન મહિલા પોતાની નાની બાળકી સાથે ઘરે એકલી હતી. કહેવાય છે કે અજાણ્યા કારણોસર તેમણે પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો.
પતિ ઘરે પરત ફરતા પત્નીને લટકતી હાલતમાં જોઈને અચંબિત થઈ ગયા અને તરત જ પાડોશીઓ તથા પોલીસને જાણ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી.
હાલમાં પોલીસે આ બનાવ પાછળના કારણોની તપાસ શરૂ કરી છે અને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. લગ્નને માત્ર બે વર્ષ થયા હોવા છતાં આ પ્રકારનું પગલું કેમ ભરાયું તે અંગે હજી સ્પષ્ટતા નથી. દરમિયાન, માતાની છત્રછાયા ગુમાવનાર આ માસૂમ બાળકીને લઈને સ્થાનિકોમાં કરુણ લાગણી વ્યાપી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે