


પોરબંદર, 27 માર્ચ (હિ.સ.) પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે નોકરીદાતાઓ અને રોજગાર ઇચ્છુકો વચ્ચે સેતુરૂપ બનવાના હેતુથી ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતી મેળા અંતર્ગત જિલ્લામાંથી કુલ 803 ઉમેદવારોને ઈ-મેલ તથા સોશિયલ મીડિયા જેવા વિવિધ માધ્યમો દ્વારા ઈન્ટરવ્યૂ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ 14 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતાઓ તરીકે હિરાવતી મરીન પ્રોડક્ટ્સ, કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી., દ્વારકાધિશ ટ્રેક્ટર્સ તેમજ રૂઘાણી ઇન્ફ્રાબિલ્ડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંસ્થામાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અને જોબ પ્રોફાઈલ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ ઉમેદવારોની ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ઈન્ટરવ્યૂ બાદ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને આવડતના આધારે કુલ 10 રોજગાર ઇચ્છુકો ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. પસંદ થયેલા ઉમેદવારોને આગળના તબક્કા માટે ફરીથી બોલાવવામાં આવશે.
ઉપરાંત, રોજગાર કચેરીના કાઉન્સેલરઓ દ્વારા ઉમેદવારોને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ. પોર્ટલ અંગે માહિતી આપી તેનું પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya