
બેલગાવી, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં મોટાભાગના યુદ્ધોનું મૂળ હું અને મારું ની લાગણી છે. તેમણે કર્ણાટકના બેલગાવી જિલ્લાના ચિક્કોડી તાલુકાના યડુર ગામમાં આયોજિત યુવા સંમેલનને સંબોધતા આ નિવેદન આપ્યું હતું.
વૈશ્વિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા મોહન ભાગવતે કહ્યું કે, ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ લાંબા સમય સુધી ટકી શકે છે. તેમણે કહ્યું કે, આ સંઘર્ષ રશિયા-યુક્રેન યુદ્ધ જેટલો જૂનો નથી, પરંતુ તે લાંબા ગાળાના બનવાના સંકેતો છે.
તેમણે કહ્યું કે, વિશ્વની સમસ્યાઓનો ઉકેલ માનવ ધર્મ અને હિન્દુ ધર્મના મૂલ્યોમાં રહેલો છે. ભારત બધા દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા અને વૈશ્વિક શાંતિનો સંદેશ ફેલાવવા માટે કામ કરી રહ્યું છે.
હિન્દુ સમાજની વિવિધતા પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, પૂજા પ્રથાઓ, ખાનપાન અને પરંપરાઓમાં તફાવત હોવા છતાં, સમાજ પ્રાચીન સમયથી એક રહ્યો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, હિન્દુ સમાજમાં બળજબરીથી ધર્મ પરિવર્તનની કોઈ પરંપરા રહી નથી.
આ કાર્યક્રમ યડુરના શ્રી કાડદેવર મઠ ખાતે યોજાયો હતો, જ્યાં શ્રી શૈલા જગદગુરુ ચન્નારામસિદ્ધ શ્રીના નેતૃત્વમાં ગાય-તુલાભારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોહન ભાગવતે, ગાયની પૂજા કરી અને ગાયોને ભોજન કરાવ્યું.
યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાનો અને સ્થાનિક ભક્તો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / ઉદય કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ