


પોરબંદર, 29 માર્ચ (હિ.સ.) : ગુજરાત રાજ્યમાં યોજાતા મેળાઓ માત્ર ધાર્મિક અથવા સાંસ્કૃતિક પ્રસંગો નથી, પરંતુ સામાજિક, આર્થિક અને પર્યટન વિકાસના મહત્વપૂર્ણ સ્તંભ છે. ગામડાંથી લઈને શહેરો સુધી મેળાઓ લોકોમાં એકતા, પરંપરા અને વેપારની તકો ઉભી કરે છે.
પોરબંદરના માધવપુર ઘેડ ખાતે યોજાતો મેળો શ્રીકૃષ્ણ અને શ્રી રુક્મિણીના વિવાહ સાથે સંકળાયેલો છે. આ મેળો ધાર્મિક-સાંસ્કૃતિક સાથે સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ પણ આપે છે.
એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરતા આ મેળાથી સ્થાનિક યુવાનો માટે રોજગારીનાં દ્વાર ખુલ્યા છે.
ગામના સરપંચ ભનુ ભૂવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા યોજાતો આ મેળો આવકારદાયક પગલું છે. અહીં શ્રી માધવરાયજી મંદિર, શ્રી રુક્મિણી મંદિર, બીચનો વિકાસ અને મેળાના આયોજનથી વર્ષ દરમિયાન પ્રવાસીઓનો ઘસારો રહે છે. જેથી રોજગારમાં વધારો થવાની સાથે સાથે આ વિસ્તારની જમીનનાં ભાવમાં પણ વધારો થયો છે.
માધવપુર ખાતે ચા અને કોલ્ડ્રિંક્સનાં દુકાન ધારક યુવા વેપારી રાજુભાઈ જાડેજા દર વર્ષે મેળાની રાહ જોતા હોય છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, નોર્મલ દિવસોમાં દરરોજ 10 થી15 હજાર રૂપિયાનો વેપાર થાય પરંતુ મેળા દરમિયાન દરરોજ એક લાખથી દોઠ લાખ સુધીનો વેપાર થાય છે. સરકાર દ્રારા યોજાતા આ મેળાની સરાહના કરતા તેમણે અપેક્ષા સાથે કહ્યું હતુ કે, આવનારા વર્ષોમાં આ વિસ્તાર વધુ વિકાસ પામશે અને મારા જેવા અન્ય યુવાનોને રોજગારી મળશે.
માધવપુર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો મેળો, બીચ, શ્રી રુક્મિણી મંદિર તેમજ બીચનાં વિકાસથી આ વિસ્તારે અલગ ઓળખ મેળવી છે.બીચ પાસે ચાઈનીઝ-પંજાબી અને ફાસ્ટફૂટની હોટલ ચલાવતા યુવા સાહસિક દિલીપભાઈ ઓડેદરાએ કહ્યું કે, સરકાર દ્વારા મેળાના આયોજનથી હું પોતે રોજગારી મેળવવાની સાથે અન્ય લોકોને પણ રોજગારી આપુ છું. સરકાર દ્વારા જો અહીં રાષ્ટ્રીય કક્ષાનાં મેળાનું આયોજન ન થતું હોત તો રોજગારી મેળવવા માટે મારે રાજકોટ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં જવું પડત પણ મેળાથી પ્રવાસનને ઉત્તેજન મળ્યુ અને મેળા ઉપરાંત વર્ષ દરમિયાન અહીં ટુરિસ્ટ આવતા હોવાથી ગામના યુવાનોને ગામમા જ રોજગારી મળે છે.
મેળામાં શ્રી કૃષ્ણ-શ્રી રુક્મિણી વિવાહ પ્રસંગ ઉપરાંત ઉત્તર-પૂર્વ રાજ્યો અને ગુજરાતના કલાકારોની આગવી શૈલીમા કલા પ્રસ્તૃતિ, સાંસ્કૃતિક જોડાણ, લોકનૃત્ય, સંગીત અને હસ્તકલા તેમજ ખાણીપીણી, બીચ ખાતે યોજાતી રમતો, રેતશિલ્પો સહિત કાર્યક્રમોથી આ મેળો લોકપ્રિય બન્યો છે. ત્યારે સરકાર દ્રારા યોજાતા રાષ્ટ્રીય કક્ષાના આ મેળાથી સ્થાનિકોને રોજગારી મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya