
કાઠમંડુ, નવી દિલ્હી, 5 માર્ચ (હિ.સ.). નેપાળમાં સંસદીય ચૂંટણી માટે મતદાન આજે સવારે 7 વાગ્યે શરૂ થયુ છે. 275 બેઠકો માટે મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. 165 બેઠકો સીધી ચૂંટણી દ્વારા અને 110 બેઠકો પ્રમાણસર પદ્ધતિ દ્વારા ભરવામાં આવશે. કાર્યકારી મુખ્ય ચૂંટણી કમિશનર રામ પ્રસાદ ભંડારીએ, મતદારોને ડર્યા વિના મતદાન કરવા અપીલ કરી છે. નેપાળ ભારતથી 15 મિનિટ સમયમાં આગળ છે.
નેપાળમાં આ ચૂંટણી ગયા વર્ષના જેન-જી આંદોલન પછી થઈ રહી છે. સપ્ટેમ્બર 2025માં થયેલા જેન-જી આંદોલનમાં નેપાળમાં વ્યાપક હિંસા જોવા મળી હતી. આ ઘટનાએ દેશની રાજકીય દિશા અંગે અનિશ્ચિતતા ઊભી કરી હતી. જેન-જી આંદોલન બાદ, તત્કાલીન વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર પડી ભાંગી. સુશીલા કાર્કીએ, કાર્યકારી વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ સરકારે રાજકીય સ્થિરતા પુનઃસ્થાપિત કરવા અને લોકશાહી પ્રક્રિયાને આગળ વધારવા માટે ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લીધો.
નેપાળના ચૂંટણી પંચ અનુસાર, આ ચૂંટણીમાં 1 કરોડ 89 લાખથી વધુ નોંધાયેલા મતદારો મતદાન કરવા માટે લાયક છે. આમાં આશરે 96 લાખ 60 હજાર પુરુષો અને 92 લાખ 40 હજાર મહિલાઓનો સમાવેશ થાય છે. પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી હેઠળ 3,406 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બિન-પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી માટે 3,135 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
કાર્યકારી મુખ્ય ચૂંટણી કમિશનર ભંડારીએ જણાવ્યું હતું કે, પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી હેઠળ મતોની ગણતરી, જે 110 બેઠકોની ફાળવણી નક્કી કરે છે, તેમાં બે થી ત્રણ વધારાના દિવસ લાગી શકે છે. જો કમિશન આ સમયમર્યાદા પૂરી કરવામાં સફળ થાય છે, તો તે ચૂંટણી પરિણામોની જાહેરાત અંગે દેશના ઇતિહાસમાં નોંધપાત્ર પરિવર્તન લાવશે. 2022 માં નેપાળની છેલ્લી સામાન્ય ચૂંટણી દરમિયાન, અધિકારીઓએ સંપૂર્ણ અને અંતિમ પરિણામો પ્રકાશિત કરવામાં બે અઠવાડિયાથી વધુ સમય લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ