

કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નખત્રાણા નગરપાલિકામાં પ્રારંભિક સફળતા મેળવી પોતાની જીતનું ખાતું ખોલાવ્યું છે. નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 માં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા પક્ષમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
માહિતી મુજબ, આ બંને વોર્ડમાં ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈ પક્ષ અથવા સ્વતંત્ર ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી નહોતી. પરિણામે, ચૂંટણી પ્રક્રિયા પહેલાં જ બંને ઉમેદવારોને વિજય પ્રાપ્ત થયો છે. વોર્ડ નંબર 4 માં મનન કલ્પેશ લુહાર અને વોર્ડ નંબર 5 માં મધુબેન ચંદુભાઈ સુથાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે બંને સીટ બક્ષીપંચ અનામત હેઠળ આવતી હતી. તેમ છતાં વિરોધ પક્ષ દ્વારા ઉમેદવાર ઉભા ન કરવામાં આવતા ભાજપને સીધી જીત મળી છે. આ જીતને ભાજપ માટે સકારાત્મક શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, જે આવનારી બેઠકોમાં પણ પક્ષ માટે ઉત્સાહજનક સાબિત થઈ શકે છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નખત્રાણા વિસ્તારમાં ભાજપની મજબૂત સંગઠનાત્મક પકડ અને સ્થાનિક સ્તરે સક્રિય કામગીરીના કારણે વિરોધ પક્ષને ઉમેદવાર ઊભો કરવામાં મુશ્કેલી પડી હોઈ શકે છે. આ પરિણામે ભાજપને શરૂઆતથી જ મનોબળમાં વધારો મળ્યો છે.
આગામી દિવસોમાં અન્ય વોર્ડોના પરિણામો સામે આવવાના બાકી છે, પરંતુ શરૂઆતમાં જ બે સીટ બિનહરીફ મળતા ભાજપે કચ્છમાં પોતાની સ્થિતિ મજબૂત હોવાનો સંકેત આપ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar