
- ચૈતર વસાવા માત્ર મહોરું છે, અસલી ખેલાડીઓના નામ ટૂંક સમયમાં જાહેર કરીશ મનસુખ વસાવા
- નર્મદા જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતમાં 'ઝાડુ' ફરી વળ્યું
- હારનું મનોમંથન કરી ફરી જનમત મેળવીશું જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ
ભરૂચ, 01 મે (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યભરમાં ભાજપનો ભવ્ય વિજય થયો હોવા છતાં નર્મદા જિલ્લામાં પક્ષને કારમો ફટકો પડ્યો છે. જિલ્લા પંચાયત અને 6 માંથી 4 તાલુકા પંચાયતો ગુમાવ્યા બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ગર્ભિત ચેતવણી આપતા જણાવ્યું છે કે, ચૈતર વસાવા તો માત્ર એક મહોરું છે, તેની પાછળ રહીને ખેલ કરનારા કોણ છે તેના નામ હું આગામી દિવસોમાં જાહેર કરીશ.
નર્મદા જિલ્લામાં ભાજપ માટે આ પરિણામો આંચકાજનક રહ્યા છે. રાજ્યની 31 પૈકી 30 જિલ્લા પંચાયતોમાં ભાજપે કેસરીયો લહેરાવ્યો છે, પરંતુ નર્મદા જિલ્લા પંચાયત ભાજપના હાથમાંથી સરકી ગઈ છે. એટલું જ નહીં, જિલ્લાના મહત્વના 4 તાલુકાઓ ગરૂડેશ્વર, સાગબારા ,ડેડીયાપાડા અને ચિકદા તેમજ
તિલકવાડા (ચિત્ર મુજબ આમ આદમી પાર્ટીનો પ્રભાવ)
ખાતે આમ આદમી પાર્ટીએ જીત મેળવી ભાજપના સૂપડા સાફ કરી દીધા છે. જોકે, રાજપીપળા નગરપાલિકામાં 28 માંથી 25 બેઠકો જીતીને ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે, જે પક્ષ માટે એકમાત્ર રાહતના સમાચાર છે.
નર્મદા જિલ્લા ભાજપની બેઠકમાં હારના કારણોની સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સત્યનો વિજય થતો હોય છે, પરંતુ અહીં પાસા ઉલટા પડ્યા છે. ચાર જુઠ્ઠા માણસો ભેગા થઈને એક સાચા માણસને હરાવી દે તેવું નર્મદામાં બન્યું છે. આમ આદમી પાર્ટીએ કોઈ વિકાસના કામો કર્યા નથી, માત્ર આદિવાસી ભાઈઓને ગેરમાર્ગે દોર્યા છે અને ખોટી વાતો ફેલાવીને નકારાત્મકતા ઉભી કરી છે.
હારનું મનોમંથન કરી ફરી જનમત મેળવીશું જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ
જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં મળેલી હાર અંગે પક્ષ ગંભીર છે. હારના કારણોનું ઉંડાણપૂર્વક મનોમંથન શરૂ કરી દેવામાં આવ્યું છે. સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવીને અમે ફરી એકવાર લોકોનો વિશ્વાસ જીતવા માટે મેદાનમાં ઉતરીશું.
ભાજપનો ગઢ ધરાશાયી થયો છે 31 માંથી માત્ર નર્મદા જિલ્લા પંચાયત ગુમાવવી પડી છે. AAPનો ઉદય થયો છે ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આદિવાસી બેલ્ટમાં મોટું ગાબડું પાડ્યું છે .આંતરિક વિખવાદના સંકેત સાંસદના નિવેદનથી રાજકીય ગરમાવો, પડદા પાછળના 'ચહેરા' કોણ છે તે આવનાર સમયમાં ખુલ્લા પડશે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ