



- ખોટા માપણીનો રિપોર્ટ બતાવી સરકારને ₹1.17 કરોડનો ચૂનો લગાવ્યો
પૂર્વ આયોજિત કાવતરું રચી મળતિયાઓને આર્થિક લાભ કરાવ્યો હતો
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારો-2018) કલમ 12, 13(1)(a) અને 13(2).ભારતીય ફોજદારી ધારા (IPC) કલમ 217 મુજબ ફરિયાદ
ભરૂચ 01 મે (હિ.સ.) : ભરૂચ જિલ્લામાં સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ખાણ-ખનિજ વિભાગમાં ફરજ બજાવતા તત્કાલીન સરકારી સેવકો અને તેમના મળતિયાઓએ પરસ્પર મેળાપીપણું રચી, ખોટા માપણી પત્રકો તૈયાર કરી સરકારને કુલ ₹1,17,02,673/- (એક કરોડ સત્તર લાખ બે હજાર છસ્સો તોતેર) નું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા નોંધવામાં આવી છે.
મળતી વિગત મુજબ, આ કેસના મુખ્ય સુત્રધાર નરેશ માવજી જાનીએ ગુનાહિત કાવતરું રચીને જ્યાં ખનન વધુ થયું હોવા છતાં નરેશ માવજી જાની, ઇન્ચાર્જ ભુસ્તરશાસ્ત્રી, વર્ગ-1, ખાણ અને ખનિજ વિભાગની કચેરી, ભરૂચના આદેશાનુસાર નં.(2)અશ્વીન લાલજી કોટડીયા, સર્વેયર, વર્ગ-3 ખાણ અને ખનિજ વિભાગની કચેરી, ભરૂચ અને (3) ભાવેશ રામજી પરમાર, માઇન્સ સુપરવાઈઝર ખાણ અને ખનિજ વિભાગની કચેરી, ભરૂચનાઓએ ખોટા માપો દર્શાવી પરમીટ ધારક પાસેથી વસૂલવા પાત્ર દંડ કરતા ઓછો દંડ વસૂલ્યો હતો. સરકારી સેવક તરીકેની પોતાની સત્તાનો દુરુપયોગ કરી, આ આરોપીઓએ રાજ્ય સરકારના મહેસૂલને જંગી નુકસાન પહોંચાડી પોતાના માનીતાઓને આર્થિક ફાયદો કરાવ્યો હતો.
આંકડાકીય વિગત પ્રમાણે કયા સરવે નંબરમાં કેટલું નુકસાન થયું
એસીબીની તપાસમાં બહાર આવ્યું છે કે અલગ-અલગ સરવે નંબરોમાં ગોબાચારી આચરવામાં આવી હતી:
સરવે નં. 11: ₹49,85,360/- નું નુકસાન.
સરવે નં. 32: ₹67,17,313/- નું નુકસાન.
કુલ નુકસાન: ₹1,17,02,673/-
ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ
આ કૌભાંડ બદલ ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ આરોપીઓ વિરુદ્ધ નીચે મુજબની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારો-2018): કલમ 12, 13(1)(a) અને 13(2).ભારતીય ફોજદારી ધારા 1860 ની કલમ 217 મુજબ ગુનો નોંધાયો છે.સરકારી સેવકો દ્વારા આચરવામાં આવેલી આ ગેરરીતિમાં હજુ પણ કેટલાક મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા છે. એસીબી દ્વારા હાલ પુરાવા એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ