
નવી દિલ્હી, 01 મે (હિ.સ.). કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુજરાતમાં દેશની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (એમએલએફએફ) અવરોધ-રહિત ટોલ પ્રણાલી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અત્યાધુનિક પ્રણાલી સુરત-ભરૂચ વિભાગ (રાષ્ટ્રીય રાજમાર્ગ-48) ના ચોર્યાસી ટોલ પ્લાઝા પર અમલમાં મૂકવામાં આવી છે, જેના હેઠળ વાહનોને ટોલ આપવા માટે રોકાવું પડશે નહીં.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રણાલી ઓટોમેટિક નંબર પ્લેટ ઓળખ અને ફાસ્ટેગ જેવી અદ્યતન ટેકનોલોજી પર આધારિત છે, જેનાથી ટોલ વસૂલાત સંપૂર્ણપણે અવરોધ રહિત અને ઝડપી બની શકશે. આનાથી વાહનોની અવરજવર સરળ થશે અને ટોલ પ્લાઝા પર થતા જામમાં ઘટાડો થશે.
નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ પહેલ દેશના ટોલ તંત્રના ડિજિટાઈઝેશન અને રાષ્ટ્રીય રાજમાર્ગ માળખાના આધુનિકીકરણની દિશામાં એક મોટું પગલું છે. આનાથી મુસાફરીના સમયમાં ઘટાડો થશે, બળતણની બચત થશે અને વાહનોથી થતા પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
ગડકરીએ કહ્યું કે, આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વસ્તરીય અને ટેકનોલોજી-આધારિત રાજમાર્ગ માળખું વિકસાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જેનાથી ટ્રાફિક વધુ સુગમ અને સુરક્ષિત બનશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ