
રાકેશ વસાવા, હરિ પ્રકાશ મોતીલાલ વર્મા,
પ્રવિણ સિંગ અશોકસિંગ બાદ હાર્દિકકુમાર પરમારનું મૃત્યુ
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એક્શનમાં આવી ગયું
ગુજરાતના મુખ્ય કમિશનર અને ભરૂચ એસપી પાસે 14 દિવસમાં માંગ્યો રિપોર્ટ
ભરૂચ 01 મે (હિ.સ.) ભરૂચ જિલ્લામાં આવેલી મેટ્રોપોલીટીન એક્ઝીકેમ કંપનીમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટના બાદ હજુ પણ મોતના આંકડામાં વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા વધુ એક કામદાર હાર્દિકકુમાર પરમારનું આજે સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું છે. આ અગાઉ ત્રણ શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.
દુર્ઘટનામાં અત્યાર સુધીના મૃતકોમાં જોઈએ તો સારવાર હેઠળના દર્દીઓ પૈકી પ્રથમ રાકેશ વસાવા ત્યારબાદ હરિ પ્રકાશ મોતીલાલ વર્મા ત્યારબાદ પ્રવિણસિંગ અશોકસિંગ બાદ આજરોજ હાર્દિકકુમાર પરમાર નામના કામદારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું
GPCB અને NHRC દ્વારા આકરી કાર્યવાહી
આ ગંભીર દુર્ઘટનાની નોંધ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ લેવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ કંપની સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) એ આ મામલે સ્વેચ્છાએ સુઓમોટો સંજ્ઞાન લીધું છે. આયોગે આ ઘટનામાં બેદરકારી અને શ્રમિકોના માનવ અધિકારના ભંગ બદલ કડક વલણ અપનાવતા આગામી બે અઠવાડિયાની અંદર સમગ્ર મામલાનો વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. આ રિપોર્ટ ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પાસેથી માંગવામાં આવ્યો છે.
તંત્રની દોડધામ, જવાબદારો સામે ગાળિયો કસાશે?
કંપનીમાં સુરક્ષાના ધોરણોના ધજાગરા ઉડ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે હવે સરકારી તંત્ર પણ સક્રિય થયું છે. એકસાથે ચાર શ્રમિકોના મોતને પગલે કંપની મેનેજમેન્ટ સામે આકરા પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. NHRC ના હસ્તક્ષેપ બાદ હવે પોલીસ અને વહીવટી તંત્ર પર તટસ્થ તપાસ કરવાનું દબાણ વધ્યું છે. આગામી દિવસોમાં આ મામલે મોટા ખુલાસાઓ અને ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ