
મહેસાણા,, 02 મે (હિ.સ.)
મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રથી ‘પરખ’ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદ ત્રિવેદી દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. આજે વિડીયો કોન્ફરન્સ (VC)ના માધ્યમથી “પરખ કોર ટીમ” સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ‘પરખ’ અંતર્ગત વિદ્યાર્થીઓના શૈક્ષણિક મૂલ્યાંકનને વધુ અસરકારક અને ગુણવત્તાસભર બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી. ડૉ. ત્રિવેદીએ શિક્ષકોને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિને સતત મોનીટર કરવાની અને તેમને વ્યક્તિગત માર્ગદર્શન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે ‘પરખ’ માત્ર પરીક્ષણ નહીં પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ સાધન છે.
VC દરમિયાન કોર ટીમના સભ્યોને વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓ, મૂલ્યાંકન પ્રક્રિયા અને સુધારણા માટેના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે શિક્ષણમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા પણ સૂચના આપવામાં આવી.
જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે આ માર્ગદર્શનથી ‘પરખ’ કામગીરી વધુ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં ગુણાત્મક સુધારો જોવા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR