
નવી દિલ્હી, 02 મે (હિ.સ.): ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે, પશ્ચિમ બંગાળમાં મતગણતરી માટે નિરીક્ષકોની નિમણૂક અંગે જારી કરાયેલા પરિપત્રનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. આ ખાતરી શનિવારે યોજાયેલી વિશેષ સુનાવણી દરમિયાન આપવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન પંચ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ દમા શેષાદ્રી નાયડુએ, પી.એસ. નરસિમ્હાની અધ્યક્ષતાવાળી વિશેષ બેંચને જણાવ્યું હતું કે, 4 મેના રોજ યોજાનારી મતગણતરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. આ બાબતે અદાલતે ટિપ્પણી કરી હતી કે આ સંદર્ભમાં અલગથી કોઈ આદેશ પસાર કરવાની જરૂર નથી.
ખરેખર તો, તૃણમૂલ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પંચના તે નિર્ણયને પડકાર્યો હતો, જેમાં મતગણતરીની કામગીરી માટે માત્ર કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સાહસોના કર્મચારીઓની નિમણૂક કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. અરજીકર્તાએ એ બાબતે વાંધો ઉઠાવ્યો હતો કે, રાજ્ય સરકાર અને રાજ્યના કેન્દ્રીય સાહસોના કર્મચારીઓને આ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
આ અગાઉ, આ જ મુદ્દા પર કલકત્તા હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી, જેને 30 એપ્રિલના રોજ ફગાવી દેવામાં આવી હતી. હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે, મતગણતરી માટે નિરીક્ષકો અને સહાયકોની નિમણૂકનો અધિકાર ચૂંટણી પંચના વિવેકાધિકાર હેઠળ આવે છે.
હાઈકોર્ટના આ જ નિર્ણયને પડકારતા તૃણમૂલ કોંગ્રેસે હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જેના પર સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કરતા પરિપત્રના પાલનની ખાતરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ