
જામનગર, 31 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી અને બફારા વચ્ચે આજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા, જેના કારણે વરસાદી માહોલ સર્જાયો હતો.
સવારથી જ સૂર્ય વાદળો પાછળ ઢંકાયેલો રહ્યો હતો અને આકાશ ઘનઘોર વાદળોથી છવાઈ ગયું હતું. દિવસ દરમિયાન ઠંડો પવન પણ ફૂંકાયો હતો, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળી હતી. જોકે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચું રહેતા બફારો યથાવત રહ્યો હતો.
હવામાન નિષ્ણાતોના મતે, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિને કારણે સૌરાષ્ટ્રના હવામાનમાં ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
એક તરફ ગરમીમાંથી રાહતની આશા જાગી છે, તો બીજી તરફ વાદળછાયા વાતાવરણ અને ભેજના કારણે લોકો બફારાનો અનુભવ કરી રહ્યા છે. હવે સૌની નજર આગામી દિવસોમાં થનારી સંભવિત વરસાદી પ્રવૃત્તિ પર ટકેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt