
ગીર સોમનાથ, 04 મે (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૧૧ મેના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનની આ મુલાકાતને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ હતી.
વડાપ્રધાનના આગમનને લઈ સોમનાથ મંદિરના દર્શન સહિતની તૈયારીઓને અનુલક્ષી કલેક્ટરએ સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીઓને જરુરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરએ વડાપ્રધાનની સંભવિત મુલાકાત સંદર્ભે હેલિપેડની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો જાળવવા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, રોડ-શૉના સમગ્ર રૂટ પર સ્વચ્છતા-બેરિકેટિંગ સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી જે.વી.કાકડિયા, રાજ્ય અને પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ફૂડ અને આરોગ્ય વિભાગ, આર.ટી.ઓ. સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ