ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો હથિયાર લેન્ડિંગ કેસ,જામનગર કોર્ટનો પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં ચુકાદો
- 12 દોષિત, 11ના મોત, દાઉદ ઈબ્રાહિમ સહિતના સાથે આરોપીઓના સંબંધ ખૂલ્યા - 1993ના મુંબઈ બ્લાસ્ટ સાથે કનેક્શન જામનગર/અમદાવાદ,04 મે (હિ.સ.) ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો હથિયાર લેન્ડિંગ કેસના જામનગર કોર્ટે ચુકાદો આપ્યો. મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ
ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો હથિયાર લેન્ડિંગ કેસ,જામનગર કોર્ટનો પોરબંદરના ગોસાબારા RDX લેન્ડિંગ કેસમાં ચુકાદો


- 12 દોષિત, 11ના મોત, દાઉદ ઈબ્રાહિમ સહિતના સાથે આરોપીઓના સંબંધ ખૂલ્યા

- 1993ના મુંબઈ બ્લાસ્ટ સાથે કનેક્શન

જામનગર/અમદાવાદ,04 મે (હિ.સ.) ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો હથિયાર લેન્ડિંગ કેસના જામનગર કોર્ટે ચુકાદો આપ્યો. મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલા અને દેશને હચમચાવી દેનારા ગોસાબારા હથિયાર લેન્ડિંગ કેસમાં જામનગરની સ્પેશિયલ ટાડા અદાલતે 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

મુંબઈના કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમના ઈશારે બાબરી ધ્વંશનો બદલો લેવા રચાયેલા આ આતંકી કાવતરામાં અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારી છે. સ્પેશિયલ જજ આર.પી. મોગેરાએ 10 દોષિતોને 5 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ, જ્યારે અન્ય 2 દોષિતોને 7 વર્ષની સખત કેદ અને 8,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે દાઉદ ઈબ્રાહિમ સહિત 15 આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે.

6 ડિસેમ્બર 1992ના રોજ થયેલા બાબરી ધ્વંશનો બદલો લેવા અને દેશભરમાં કોમી રમખાણો ભડકાવવાના હેતુથી દાઉદ ઈબ્રાહીમે દુબઈમાં આ ભયાનક યોજના ઘડી હતી. મુસ્તુફા ડોસા ઉર્ફે મુસ્તુફા મજનુની માલિકીની 'સદા અલ બહાર' લોંચ મારફતે કરાંચીથી હથિયારોનો મોટો જથ્થો રવાના કરાયો હતો. આ તપાસમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાની મરીન સિક્યોરિટી અને સેનાના અધિકારીઓએ આ ઓપરેશનમાં સીધી મદદ કરી હતી. આર.ડી.એક્સ., 150 આધુનિક હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને રાઈફલોનો જથ્થો મધદરિયે 'બિસ્મીલાહ' નામની લોંચમાં શિફ્ટ કરી પોરબંદરના ગોસાબારા બંદર પર ઉતારવામાં આવ્યો હતો. ત્યાંથી આ હથિયારો ટ્રકો મારફતે સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા હતા.

1993થી શરૂ થયેલી આ તપાસ 2018 સુધી અવિરત ચાલી હતી. આ દરમિયાન પોલીસ અને તપાસ એજન્સીઓએ કુલ 46 આરોપીઓની ધરપકડ કરી હતી. નિવૃત્ત આઈ.પી.એસ. પી.કે.ઝા, સતીષ વર્મા અને હાલ સી.બી.આઈ.ના સ્પેશિયલ ડાયરેક્ટર મનોજ શશીધર જેવા અધિકારીઓએ તપાસનું નેતૃત્વ કર્યું હતું. જોકે, દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ અને અનીશ ઈબ્રાહીમ સહિતના 15 મુખ્ય સૂત્રધારો હજુ પણ ફરાર છે, જેમને અદાલતે ભાગેડુ જાહેર કર્યા છે.

કેસના 46 આરોપીઓમાંથી 11ના અવસાન થયા હતા અને 6ને સુપ્રીમ કોર્ટના આદેશથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. બાકીના 29 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. રાજ્ય સરકાર દ્વારા ખાસ નિમણૂક કરાયેલા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી અને તેમની ટીમે માત્ર 4 વર્ષના ગાળામાં 63 સાક્ષીઓની જુબાની નોંધી પ્રોસિક્યુશનનો કેસ મજબૂત રીતે રજૂ કર્યો હતો. જામનગરના જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરી પણ આ કાનૂની પ્રક્રિયામાં સતત સક્રિય રહ્યા હતા. અદાલતના આ ચુકાદાથી આતંકવાદ સામેની લડાઈમાં ગુજરાત સરકારની મક્કમતા સાબિત થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande