
તેહરાન/વોશિંગ્ટન, નવી દિલ્હી, 04 એપ્રિલ (હિ.સ.). ઈરાને સોમવારે અમેરિકાને ચેતવણી આપી છે કે, તે હોર્મુઝની સામુદ્રધુનીથી દૂર રહે. ઈરાનની આ ટિપ્પણી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીના જવાબમાં આવી છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા તે જહાજોને મુક્ત કરાવવામાં મદદ કરશે, જે ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધના કારણે અખાતમાં ફસાઈ ગયા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ જહાજો લગભગ બે મહિનાથી ફસાયેલા છે. ક્રૂ મેમ્બર્સ પાસે ખોરાક અને અન્ય સામાનની અછત સર્જાઈ છે. ટ્રમ્પે આને 'પ્રોજેક્ટ ફ્રીડમ' નામ આપ્યું છે.
ટ્રમ્પે રવિવારે 'ટ્રુથ સોશિયલ' પર કહ્યું, અમે આ દેશોને કહ્યું છે કે, અમે તેમના જહાજોને આ પ્રતિબંધિત જળમાર્ગોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરીશું. ઈરાની સશસ્ત્ર દળોના સંયુક્ત કમાન્ડના વડા અલી અબ્દુલ્લાહીએ આનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે અમેરિકી સેનાને ચેતવણી આપી છે કે તેઓ હોર્મુઝની સામુદ્રધુનીથી દૂર રહે. જો અમેરિકી સેના હોર્મુઝની નજીક આવશે અથવા પ્રવેશ કરશે, તો તેના પર હુમલો કરવામાં આવશે. તેમણે વ્યાપારી જહાજો અને તેલના ટેન્કરોને નિર્દેશ આપ્યો છે કે તેઓ ઈરાનની સેના સાથે સંકલન કર્યા વિના કોઈપણ પ્રકારની અવરજવર ન કરે. અબ્દુલ્લાહીએ કહ્યું કે હોર્મુઝની સામુદ્રધુનીની સુરક્ષા ઈરાનના હાથમાં છે. જહાજોના સુરક્ષિત માર્ગનું રક્ષણ ઈરાનના સશસ્ત્ર દળો કરશે.
અલ જઝીરા, સીબીએસ, સીએનએન અને એક્સિયોસના અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ જાહેરાત કરી છે કે, તે અમેરિકી રાષ્ટ્રપતિના નિર્દેશ પર 15,000 સૈન્ય કર્મચારીઓ, 100 થી વધુ જમીન અને સમુદ્ર આધારિત વિમાનો, તેમજ યુદ્ધ જહાજો અને ડ્રોન સાથે આ પ્રયાસમાં સહાય પૂરી પાડશે. સેન્ટકોમના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે કહ્યું, આ રક્ષણાત્મક મિશન માટે અમારો ટેકો પ્રાદેશિક સુરક્ષા અને વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અત્યંત જરૂરી છે, કારણ કે અમે નૌકાદળની નાકેબંધી પણ જાળવી રાખી છે.
આ દરમિયાન ઈરાની સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, વોશિંગ્ટને પાકિસ્તાન દ્વારા ઈરાનના 14 મુદ્દાના પ્રસ્તાવ પર જવાબ મોકલ્યો છે. તેહરાન તેની સમીક્ષા કરી રહ્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અમારી અમેરિકા સાથે પરમાણુ કાર્યક્રમ પર કોઈ વાત થઈ નથી. આ પહેલા ટ્રમ્પ તેહરાનના આ પ્રસ્તાવને અસ્વીકાર્ય ગણાવી ચુક્યા છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે 'પ્રોજેક્ટ ફ્રીડમ' હેઠળ અમેરિકી નૌકાદળના યુદ્ધ જહાજો સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોને સુરક્ષા (એસ્કોર્ટ) નહીં આપે. તે ફસાયેલા જહાજોને રસ્તો બતાવશે. વ્યાપારી જહાજો પર ઈરાની હુમલા રોકવા માટે અમેરિકી નૌકાદળના જહાજો આસપાસ જ હાજર રહેશે.
દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમેરિકાએ એક ઈરાની કન્ટેનર જહાજ પર સવાર 22 ક્રૂ મેમ્બર્સને પાકિસ્તાન મોકલી દીધા છે. તેઓને ઈરાની સત્તાવાળાઓને સોંપવામાં આવશે. મંત્રાલયે આ પગલાને વિશ્વાસ વધારવાના ઉપાય તરીકે ગણાવ્યો છે. મંત્રાલયે દાવો કર્યો છે કે જરૂરી સમારકામ પછી ઈરાની જહાજને પણ પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં પરત લાવવામાં આવશે, જેથી તે તેના અસલી માલિકોને સોંપી શકાય. આ જહાજને ગયા મહિને ઓમાનના અખાતમાં એક હુમલા દરમિયાન પકડી લેવામાં આવ્યું હતું. તેહરાને આને અમેરિકાની દરિયાઈ લૂંટ ગણાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ