


છોટાઉદેપુર, 13 જૂન (હિ.સ.) : બોડેલી નગરનાં આંગણે આગામી તારીખ 16 જુલાઈ 2026 ને ગુરુવારે અષાઢી બીજનાં દિવસે ભવ્ય રથયાત્રા યોજાનાર છે ત્યારે સુવ્યવસ્થિત રીતે રથયાત્રાનાં આયોજન માટે બોડેલીની વૈષ્ણવવાડી ખાતે મુખ્ય આયોજકો દીપકભાઈ વિજયવર્ગીય, જીગ્નેશભાઈ ચોકસી, જૈમીનભાઈ પટેલ, અશ્વિનભાઈ શાહ, રજનીકાંત ગાંધી, ગૌરવ શાહ, જૈમિત પાઠક, બાબુભાઈ ચોકસી વિગેરેની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બોડેલી નગરપાલિકાનાં વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો અગ્રણી હાજર રહ્યા હતા.
સતત પાંચમા વર્ષે નગરમાં યોજાનાર ભવ્યાતિભવ્ય રથયાત્રા ની રૂપરેખા આપતા દિપકભાઈ વિજયવર્ગીય એ રથયાત્રાનું રૂટ અને રથયાત્રામાં જોડાનાર ભાવિક ભક્તો માટે પીવાના પાણી સહિતની સુવિધાઓ અંગે સવિસ્તાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડી રથયાત્રામાં બોડેલી નગર સહિત આસપાસના ગામોના ભાવિક ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાય તે માટે જરૂરી આયોજન માટે હાજર રહેલા તમામ યુવાન ભક્તોને આહવાન કર્યું હતું. જ્યારે જીગ્નેશભાઈ ચોકસીએ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં બરેલી ના વેશભૂષા, વાજા બેન્ડ, ઢોલ ત્રાંસા અને શરણાઈઓ જેવા મુખ્ય આકર્ષણો અંગે માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ