
મહેસાણા, 13 જૂન (હિ.સ.) : રાજ્ય સરકારના જન કલ્યાણ શિબિર કાર્યક્રમ અંતર્ગત આજે મહેસાણા તાલુકામાં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભાર્થી સેવાઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ખેડૂતોને સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં સહાય કરવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન ફાર્મર રજીસ્ટ્રી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાની e-KYC કામગીરી, લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી અને યોજનાકીય બાબતોને લગતી આનુષંગિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ખેડૂતોને યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત ફાર્મર રજીસ્ટ્રી અને e-KYC પ્રક્રિયા સમયસર પૂર્ણ કરાવવાથી ભવિષ્યમાં યોજનાકીય લાભ મેળવવામાં સરળતા રહેશે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જન કલ્યાણ શિબિરનો મુખ્ય હેતુ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓને સીધી રીતે લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે. આ પ્રકારના કેમ્પોથી ખેડૂતોને એક જ સ્થળે વિવિધ સેવાઓ ઉપલબ્ધ બનતા સમય અને ખર્ચની બચત થવાની સાથે યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા પણ સરળ બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR