
- ટેકાના ભાવે વિક્રમી ખરીદીથી ગુજરાતના લાખો ખેડૂતો બન્યા આત્મનિર્ભર
ગાંધીનગર, 13 જૂન (હિ.સ.) : એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિલંબની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ છેલ્લા એક દાયકામાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ (MSP) હેઠળ ખરીદી વ્યવસ્થામાં કરાયેલા સુધારાઓએ ગુજરાતના લાખો ખેડૂતોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ખેતી ખર્ચના દોઢ ગણા ભાવ આપવાની નીતિ અમલમાં આવતા ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળવા લાગ્યા છે. પરિણામે ખેડૂતોની આવકમાં વધારો થયો છે અને ખેતી વધુ નફાકારક બની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ટેકાના ભાવે ખરીદીની યોજનાને વધુ વ્યાપક બનાવી છે. ગત એક દાયકામાં થયેલી ખરીદીના આંકડા જ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
છેલ્લા 10 વર્ષમાં ટેકાના ભાવે ખરીદી : ₹65,570 કરોડ
કુલ ખરીદાયેલ ઉપજ : 1.05 કરોડ મેટ્રિક ટન
લાભાર્થી ખેડૂતો : 48.98 લાખથી વધુ
મગફળી ખરીદી : ₹31,941 કરોડ
કપાસ ખરીદી : ₹17,759 કરોડ
વાર્ષિક લાભાર્થી ખેડૂતો : 2 લાખથી વધીને 14 લાખ
ખરીદીના મૂલ્યમાં વધારો : 13 ગણો
MSPમાં વધારો : 54% થી 127% સુધી
મગફળી અને કપાસના ખેડૂતોને સૌથી વધુ ફાયદો
ગુજરાતની કૃષિ અર્થવ્યવસ્થામાં મગફળી અને કપાસનું વિશેષ મહત્વ છે. છેલ્લા દસ વર્ષમાં રાજ્યમાંથી 52.48 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને ખેડૂતોને ₹31,941 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. જ્યારે કપાસના વૈશ્વિક ભાવમાં ઘટાડાના સમયમાં પણ સરકાર દ્વારા 25.23 લાખ મેટ્રિક ટન કપાસની ખરીદી કરીને ખેડૂતોને ₹17,759 કરોડનું રક્ષણ કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
ચણા અને તુવેરના ખેડૂતોને પણ મોટો લાભ
રવિ પાકના મુખ્ય આધાર ગણાતા ચણાની 16.81 લાખ મેટ્રિક ટન ખરીદી સામે ખેડૂતોને ₹9,549 કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના મહત્વના પાક તુવેરની 4.97 લાખ મેટ્રિક ટન ખરીદી કરીને ₹3,222 કરોડનું વળતર આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાયડો, સોયાબીન, અડદ અને મગ જેવા પાકોની ખરીદીથી પણ હજારો નાના અને સીમાંત ખેડૂતોને સીધો લાભ મળ્યો છે.
10 વર્ષમાં 7 ગણો વધારો
વર્ષ 2016-17માં માત્ર 2.01 લાખ ખેડૂતો પાસેથી ₹1,775 કરોડની ખરીદી થઈ હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. વર્ષ 2025-26 દરમિયાન 14 લાખથી વધુ ખેડૂતો પાસેથી ₹23,800 કરોડ મૂલ્યની 32.54 લાખ મેટ્રિક ટન ઉપજ ખરીદવામાં આવી છે. ખેડૂતોની સંખ્યામાં 7 ગણો અને ખરીદીના મૂલ્યમાં 13 ગણો વધારો આ યોજનાની સફળતાનો પુરાવો માનવામાં આવે છે.
વાવેતર પહેલાં જ જાહેર થાય છે ટેકાના ભાવ
ખેડૂતોને પાક આયોજનમાં મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હવે MSPની જાહેરાત વાવેતર પહેલાં જ કરવામાં આવે છે. કૃષિ ખર્ચ અને ભાવ પંચ (CACP) દ્વારા બિયારણ, ખાતર, વીજળી, ડીઝલ અને મજૂરી સહિતના ખર્ચનો અભ્યાસ કરીને ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે.
સરકારનો દાવો છે કે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પર આશરે 50 ટકા નફો મળી રહે તે રીતે MSP નક્કી કરવામાં આવે છે.
DBTથી વધી પારદર્શિતા
ખરીદી પ્રક્રિયામાં ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે. DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ચૂકવણી સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થતી હોવાથી વચેટિયાઓની ભૂમિકા ઘટી છે અને પારદર્શિતા વધી છે.
ઓનલાઈન નોંધણી અને SMS આધારિત વ્યવસ્થાના કારણે ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પણ ઘટી છે.
MSPમાં નોંધપાત્ર વધારો
છેલ્લા દાયકામાં વિવિધ પાકોના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય ડાંગરમાં 61 ટકા, ઘઉંમાં 59 ટકા, બાજરીમાં 108 ટકા, હાઈબ્રિડ જુવારમાં 127 ટકા અને મગફળીમાં 102 ટકા વધારો નોંધાયો છે. કપાસના MSPમાં પણ 99 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
ખેડૂતોના મતે ટેકાના ભાવે ખરીદી અને સમયસર મળતી ચૂકવણીના કારણે ખેતી ક્ષેત્રમાં વિશ્વાસ વધ્યો છે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી મજબૂતી મળી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ