
પાટણ, 13 જૂન (હિ.સ.) : રાધનપુર નગરપાલિકાના વોર્ડ નં. 1માં રોડ-રસ્તાની ખરાબ હાલત અને ગટરના ગંદા પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે નગરસેવક જયાબેન ઠાકોરએ તંત્રને 90 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા અલ્ટીમેટમ આપ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.
જયાબેન ઠાકોરના જણાવ્યા મુજબ, વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમણે આ મુદ્દે અગાઉ પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાયાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ, પ્રજ્ઞાબેનએ જણાવ્યું કે જયાબેન ઠાકોર લાંબા સમયથી ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને અગાઉ પણ રજૂઆત કરી શકતા હતા. તેમણે કહ્યું કે વિરોધ કરવાની રીત યોગ્ય નથી અને તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ નિષ્ફળ જતાં તેમજ ખુલ્લી ગટર પર દબાણ થવાને કારણે સમસ્યાઓ ઊભી થઈ છે.
ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું કે હાલમાં રાધનપુરમાં પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત નાળા અને મુખ્ય ગટર લાઇનોની સફાઈ ચાલી રહી છે. કોઈપણ કામગીરીના પરિણામ આવવામાં સમય લાગતો હોવાથી હાલ સમસ્યા દેખાઈ રહી છે. હવે સમગ્ર શહેરની નજર તંત્ર આગામી 90 દિવસમાં શું પગલાં લે છે તેના પર છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ