
જૂનાગઢ, 15 જૂન (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષે પૂર્ણ થવાના અવસરે વહીવટી તંત્ર દ્વારા ખાસ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, તે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તા.૧૬ જૂનના રોજ ૬ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે.
જિલ્લામાં કેશોદના અજાબ ગામે કન્યા શાળા, માંગરોળ તાલુકામાં મક્તુપુર ગામે પી.ડી. હાઇસ્કુલ તથા આરેણા (માંગરોળ ઓજી) ગામે પ્રાથમિક શાળા અને વિસાવદરના નાના કોટડા ખાતે જન કલ્યાણ શિબિર યોજાશે. ઉપરાંત ભેસાણ અને બીલખા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જન કલ્યાણ શિબિરોના માધ્યમથી જુદી જુદી પ્રજાલક્ષી સેવાઓને આવરી લેવામાં આવી છે, જેમાં મુખ્યત્વે આવક અને જાતિના પ્રમાણપત્રો, ઇડબલ્યુએસ, નોન ક્રિમિલિયર, ડોમીસાઈલ સર્ટિફિકેટ, રેશનકાર્ડ સંબંધિત નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવું, કમીકરણ કરવું, સુધારા કરવા વગેરે, નવું આધાર કાર્ડ કઢાવવું અથવા તેમાં આવશ્યક સુધારા કરાવવા, આયુષ્માન ભારત કાર્ડ, જન્મ મરણ અને લગ્નના નોંધણીના પ્રમાણપત્રો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, દિવ્યાંગ આર્થિક સહાય માટેની જુદી જુદી યોજનાઓ, કુંવરબાઈનું મામેરુ તથા માનવ ગરીમા યોજના વગેરે યોજનાઓ માટે અરજીઓ કરી શકાશે. ઉપરાંત ખેતીવાડી, પશુપાલન સહિતના વિભાગની જુદી જુદી યોજનાઓ માટે પણ અરજી સ્થાનિક કક્ષાએથી કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ