



પોરબંદર, 28 જૂન (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડમાં પી.એમ. સ્વનિધી મહોત્સવ અંતર્ગત લાભાર્થીઓને પી.એમ. સ્વનિધી યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં આશરે પચાસ જેટલા શેરીફેરિયાઓએ લાભ લીધો હતો, અને સરકારની કલ્યાણકારી યોજના અંગે વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી. આ કાર્યક્રમમાં એન.યુ.એલ.એમ. ના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, સમાજ સંગઠનના કો-ઓર્ડીનેટર અલ્પાબેન મકવાણા તથા મનીષાબેન ચાંચીયા દ્વારા ઉપસ્થિત શેરીફેરિયાઓને પી.એમ. સ્વનિધી યોજના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનાર દરમિયાન લાભાર્થીઓના ફોર્મ સ્થળ પર જ ભરવામાં આવ્યા હતા તેમજ તેમને યોજનાના લાભ, પ્રક્રિયા અને ઉપયોગિતા અંગે સમજ આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ફાઇનાન્શિયલ લિટરેસી સેન્ટરના ઝાહિદ ખોખર દ્વારા નાણાકીય સાક્ષરતા, બચતની આદતો, સુરક્ષિત બેંકિંગ વ્યવહારો તથા વધતા જતા સાયબર ફ્રોડથી બચવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શેરીફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ પહોંચાડવાનો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya