




નશા મુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ અનિવાર્ય
એનડીપીએસ એક્ટ હેઠળ કડક સજાની જોગવાઈ છે
ડ્રગ્સ વ્યક્તિ, પરિવાર અને ભવિષ્યને બરબાદ કરે છે
યુવાનોને સ્વસ્થ જીવન જીવવા અને નાગરિકોને અભિયાનમાં જોડાવા અપીલ કરાઈ
ભરૂચ 28 જૂન (હિ.સ.)
દેશના યુવાધનને નશાના દલદલમાંથી બહાર કાઢવા અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને નિષ્ણાતો દ્વારા ડ્રગ્સના દૂષણ અને તેની સામેના કાયદાઓ અંગે વિસ્તૃત અને સચોટ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ અધિનિયમ અંગે આ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડો. કુશલ ઓઝા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી સહિત ઉદ્યોગ અગ્રણીઓ, પોલીસ અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ડો. તરલ સાધુ અને ડો. બિસ્વા દેસાઈએ ડ્રગ્સની અસરો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ દરમિયાન નશીલા પદાર્થોના સેવન અને હેરાફેરીથી થતી સામાજિક, માનસિક અને શારીરિક હાનિ અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત નાગરિકોને “ડ્રગ્સને ના, જીવનને હા” નો સંદેશ આપવામાં આવ્યો હતો. NDPS એક્ટ, 1985 હેઠળ ડ્રગ્સના કબજા, સેવન, ઉત્પાદન અને હેરાફેરી માટેની કડક કાનૂની જોગવાઈઓ વિશે પણ માહિતી અપાઈ હતી.
એનડીપીએસ એક્ટ હેઠળ કડક સજાની જોગવાઈ છે.
કાર્યક્રમ દરમિયાન કાયદાકીય પાસાઓ પર ભાર મૂકતા ઉપસ્થિતોને જણાવવામાં આવ્યું હતું કે, માદક પદાર્થો વિરોધી કાયદો એટલે કે એનડીપીએસ એક્ટ, 1985 અત્યંત કડક છે. આ એક્ટ હેઠળ ડ્રગ્સના ગેરકાયદેસર કબ્જા, સેવન, ઉત્પાદન, વેચાણ અને હેરાફેરી (તસ્કરી) માટે કડકમાં કડક જેલવાસ અને આકરા દંડની કાનૂની જોગવાઈઓ રહેલી છે, જેનાથી નાગરિકો વાકેફ થાય તે જરૂરી છે.
ડ્રગ્સ વ્યક્તિ, પરિવાર અને ભવિષ્યને બરબાદ કરે છે નિષ્ણાતો.સેમિનારમાં ઉપસ્થિત તજજ્ઞોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ડ્રગ્સ માત્ર એક વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહિ, પરંતુ તેના આખા પરિવાર અને ઉજ્જવળ ભવિષ્યને સંપૂર્ણપણે બરબાદ કરી નાખે છે. નશાના કારણે યુવા પેઢી ગેરમાર્ગે દોરાઈ રહી છે, જે સમાજ માટે મોટો ખતરો છે.
યુવાનોને સ્વસ્થ જીવન જીવવા અને નાગરિકોને અભિયાનમાં જોડાવા અપીલ કરાઈ. કાર્યક્રમના અંતે યુવાધનને નશાની કુટેવથી દૂર રહીને એક સશક્ત, સ્વસ્થ અને સુરક્ષિત જીવન જીવવા માટે પ્રેરણાત્મક અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ સમાજને સંપૂર્ણપણે નશામુક્ત બનાવવા માટે દરેક નાગરિકને જાગૃત બની ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સક્રિયપણે સહભાગી થવા અને ડ્રગ્સના દુષ્પ્રભાવો સામે અવાજ ઉઠાવવા અનુરોધ કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ