
- નિયમો, દસ્તાવેજો, પાસપોર્ટ પ્રક્રિયા સહિત વિદેશમાં અભ્યાસ-રોજગારીની તકો વિશે માર્ગદર્શન
ગીર સોમનાથ, 20 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તાલાલા ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તાલાલા, જી.એચ.સી.એલ ફાઉન્ડેશન સંચાલિત વોકેશનલ તાલીમ સેન્ટર તેમજ આગખાન રૂરલ ટ્રસ્ટ સંચાલિત સ્કિલ સેન્ટર “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” યોજાયા હતાં.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ તથા વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને રોજગારવાંચ્છુ યુવાઓને વિદેશમાં રોજગાર તેમજ સમગ્ર પ્રક્રિયા અને દસ્તાવેજોથી માહિતગાર થાય એવા હેતુસર આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં કેરિયર પ્લેસમેન્ટ ઓફિસર કે.એચ.રામ દ્વારા રોજગાર કચેરી, કારકિર્દી માર્ગદર્શન, અનુબંધમ તેમજ NCS વિષે માહિતી તેમજ માર્ગદર્શન તથા કારકિર્દી માટેનાં લક્ષ્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્રના ઓવરસીઝ કાઉન્સેલર હાર્દિકભાઈ મહેતા સંસ્થાના વિદ્યાર્થીઓને વિદેશ રોજગાર અને અભ્યાસ વિષે માર્ગદર્શન અપાયું હતું.
આ સેમિનારમાં પાસપોર્ટ ઈશ્યૂ કરવા માટેની પ્રક્રિયા, નિયમો, દસ્તાવેજો, વિઝા, વિદેશમાં અભ્યાસ/રોજગારીની તકો, લોન, સરકારી યોજનાઓ, વિદેશ ગમનની લાલચે આચરવામાં આવતા ફ્રોડ તથા અન્ય વિદેશ રોજગારને લગતા મુદ્દાઓ વિષે ઊંડાણપૂર્વક માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ વિદેશમાં રોજગાર અને નોકરી અંતર્ગત પ્રશ્નોત્તરી કરી હતી. જેના સમાધાનપૂર્ણ ઉત્તરો થકી તજજ્ઞોએ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સમાધાન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ