
પાટણ, 25 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. પાણી ભરાવા અને માર્ગો ધોવાઈ જતાં 6 ગામોનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.
રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ચાલી રહેલી વરસાદી સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કરીને રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે તંત્ર દ્વારા વિવિધ ટીમોને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી છે. સરહદી ગામોમાં ઇમરજન્સી કોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી જરૂરિયાત મુજબ ત્વરિત મદદ પહોંચાડી શકાય.
રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સાંતલપુરના વારાહી ગામે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ