



પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરના છાંયા વિસ્તારમાં રઘુવંશી સોસાયટીની બાજુમાં આવેલી જલારામધામ સોસાયટીમાં છેલ્લા 10 વર્ષથી પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટી બન્યાને એક દાયકો વીતી ગયો હોવા છતાં આજે પણ સ્ટ્રીટ લાઈટ, રોડ, ગટર સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે જલારામધામ સોસાયટી બાદ આસપાસ અનેક નવી સોસાયટીઓ બની છે અને ત્યાં તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, પરંતુ જલારામધામ સોસાયટીની સતત અવગણના કરવામાં આવી રહી છે. સ્ટ્રીટ લાઈટ માટે 10થી 15 વખત રજૂઆત કરવા છતાં માત્ર અમુક સ્થળોએ જ લાઇટ લગાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પીવાના પાણીની સમસ્યા અંગે પણ અનેક વખત રજૂઆત કર્યા બાદ માંડમાંડ પાણીની વ્યવસ્થા થઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તેમ છતાં રોડ અને ગટર જેવી અન્ય મહત્વની સુવિધાઓનો હજુ પણ અભાવ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી બન્યા તે પહેલાં પણ સોસાયટીના રહિશોએ રજૂઆત કરી હતી. તે સમયે એક મહિનામાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ વર્ષો વીતી ગયા છતાં કોઈ કામગીરી થઈ નથી. ચૂંટણી દરમિયાન નેતાઓ વચનો આપે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ લોકોના પ્રશ્નો ભૂલી જાય છે તેવો આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યો હતો.
રહિશોએ તંત્ર અને લોકપ્રતિનિધિઓને તાત્કાલિક
પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. જો ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya