
પાટણ, 26 જુલાઈ (હિ.સ.)પાટણના ભઠ્ઠીવાળા હર્ષનગર વિસ્તાર પાસે વીજળકુવા ઢાળથી ગુલશનનગર તરફ જતો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તા પર મોટા અને ઊંડા ખાડાઓ પડી જતાં સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ આસપાસના વિસ્તારોને જોડતો મહત્વનો રસ્તો હોવાથી અહીંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અને શાળાના વિદ્યાર્થીઓ પસાર થાય છે.
ખાડાઓના કારણે દ્વિચક્રી અને ચારચક્રી વાહનચાલકો માટે વાહન ચલાવવું જોખમી બની ગયું છે. ખાડા બચાવવાના પ્રયાસમાં સંતુલન ગુમાવવાની સ્થિતિ સર્જાતી હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે. રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતની શક્યતા વધુ વધી જાય છે. ઉપરાંત, ખરાબ રસ્તાના કારણે ધૂળ અને અસુવિધાનો પણ સ્થાનિકોને સામનો કરવો પડે છે.
આ ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ પાટણ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે. લોકોએ રસ્તાનું તાત્કાલિક ધોરણે સમારકામ અથવા નવેસરથી નિર્માણ કરાવવાની માંગ કરી છે, જેથી વિસ્તારના લોકોને સુરક્ષિત, સરળ અને સુવિધાજનક અવરજવર મળી રહે તેમજ અકસ્માતોની શક્યતા ઘટે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ